શિક્ષક દિવસ 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 44 શિક્ષકોનું સન્માન કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શિક્ષક દિન નિમિત્તે 44 ગુણવાન શિક્ષકોનુ સન્માન કરશે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ આર. સી. મીનાએ અઠવાડિયાની શરૂઆતમાં આ અંગેની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી : 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શિક્ષક દિન નિમિત્તે 44 ગુણવાન શિક્ષકોનુ સન્માન કરશે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ આર. સી. મીનાએ અઠવાડિયાની શરૂઆતમાં આ અંગેની જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખઈને આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે. જોઈન્ટ સેક્રેટરી આર. સી. મીનાના જણાવ્યા અનુસાર કાર્યક્રમ સવારે 10:30 કલાકે શરૂ થશે અને એક કલાક સુધી ચાલશે.
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર 44 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જુરી દ્વારા વિવિધ વિસ્તારોના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ આર. સી. મીનાએ કહ્યું હતું કે, હું જણાવવા માંગુ છું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પસંદગી જિલ્લા કક્ષાએ શરૂ થાય છે, અને પછી તે રાજ્ય કક્ષાએ થાય છે. છેલ્લે રાષ્ટ્રીય સ્તરે ગુણવાન શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી પામેલા તમામ શિક્ષકોને શિક્ષક દિવસે સન્માનિત કરવામાં આવે છે.
ગયા વર્ષે 2020માં 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કુલ 47 એવોર્ડ વિજેતા શિક્ષકોને સન્માનિત કર્યા હતા. શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો આપવાની પરંપરા 1958માં સ્થાપિત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અપ્રતિમ યોગદાનની ઉજવણી કરવાનો છે અને જેમને શિક્ષકોનું સન્માન વધાર્યું છે. એટલું જ નહીં, પરંતુ શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, તેવા શિક્ષકોનું સન્માન કરવાનો છે.
શિક્ષક દિવસ (05 સપ્ટેમ્બર)ના રોજથી શિક્ષણ મંત્રાલય હેઠળ શિક્ષા પર્વ 2021 પણ શરૂ થશે. આ કાર્યક્રમ ઓનલાઈન મોડ પર હાથ ધરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, 05 સપ્ટેમ્બર, 1888ના રોજ જન્મેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ પર દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સર્વેપલ્લી રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બાદમાં ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ 1962માં ભારતમાં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.