મનન ફર્ટિલિટી હોસ્પિટલ બિલ્ડિંગમાં લાગી આગ
ગુજરાતના રાજકોટ શહેરમાં રવિવારના રોજ રિનોવેશન હેઠળની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
રાજકોટ : ગુજરાતના રાજકોટ શહેરમાં રવિવારના રોજ રિનોવેશન હેઠળની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ફાયર અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાર માળની મનન ફર્ટિલિટી હોસ્પિટલ બિલ્ડિંગના ચોથા માળે સવારે 11.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી, ત્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ ન હતો.
આગમાં કેટલાક કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિક વાયરિંગ, પંખા અને ફર્નિચરને નુકસાન થયું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર આર. બી. ભાટીએ જણાવ્યું હતું કે, બે ફાયર ટેન્ડર્સ સ્થળ પર દોડી આવ્યા હતા અને 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર ઓફિસર આર. બી. ભાટીએ જણાવ્યું હતું કે, મનન ફર્ટિલિટી હોસ્પિટલ રિનોવેશન હેઠળ હોવાથી, આગ લાગી ત્યારે ત્યાં કોઈ દર્દી દાખલ ન હતો. હોસ્પિટલ ફાયર સિસ્ટમથી સજ્જ છે અને ત્યાંના કર્મચારીઓએ અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. અધિકારીએ જણાવ્યું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.