રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ (Rajkumar Jat Death Case) મામલે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે કેસના મુખ્ય આરોપી પૈકી એક એવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ (Narco Test) કરાવશે.

આ મામલે SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી માગવામાં આવી છે. આ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે અને સત્ય બહાર આવે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
સૌથી અગત્યની વાત એ છે કે, ગણેશ જાડેજાએ પોતે નાર્કો ટેસ્ટ માટે સહમતી આપી દીધી છે. કોર્ટે પણ SITની મંજૂરી અરજી ગ્રાહ્ય રાખતા આગામી દિવસોમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજસ્થાનના વતની રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું, જેણે ભારે ચકચાર જગાવી હતી. રાજકુમારના પરિવારે આ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને હત્યાનો આરોપ મૂક્યો હતો.
આ ઘટના બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને સતત ઉગ્ર રજૂઆતો બાદ સમગ્ર કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી હતી. હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થવાથી આ કેસમાં નવા રહસ્યો ખૂલે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
