સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 કોરોના દર્દીઓના મોત!
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મોતના મામલા પણ સામે આવવા લાગ્યા છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે.
સુરત : કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મોતના મામલા પણ સામે આવવા લાગ્યા છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈમરજન્સી વિભાગમાં આવતા દર્દીઓ મૃત્યુ પણ પામી રહ્યા છે. રવિવારે નવી સિવિલમાં બે અને સ્મીરમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હતા. આ તમામના અંતિમ સંસ્કાર કોરોના માર્ગદર્શિકા સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ આરોગ્ય વિભાગે આ દર્દીઓના મૃત્યુનો સત્તાવાર યાદીમાં સમાવેશ કર્યો નથી.
નવી સિવિલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ડીંડોલીના હળપતિવાસમાં રહેતી શીતલ રાજેશ રાઠોડ (25)ને શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ઉપરાંત અન્ય દર્દી નરેન્દ્ર બુટી સાબર (38) હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગેટ-1 સચિન જીઆઈડીસીમાં રહેતા હત, તેની પણ તબિયત બગડતાં તેને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં શીતલ અને નરેન્દ્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન બંને દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રહેતી સવિતા છોટુ ગામીત (67)ને 14 જાન્યુઆરીએ કિડનીની બિમારીના કારણે સ્મીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
માંડવીના બજાર ફળિયામાં રહેતા ઠાકોર ડાહ્યા રાઠોડ (69)ને 9 જાન્યુઆરીએ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રવિવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ પામેલી મહિલા અને વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કામરેજના લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતી કલાવતી હેમરાજ રૂપારેલીયા (75)નું પણ મૃત્યુ થયું છે અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરાછા વર્ષા સોસાયટીમાં રહેતા દેવકુ વાસુર નાગલા (90) 13 જાન્યુઆરીના રોજ ઘરમાં પડી જતાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન રવિવારે મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ અને સ્મીમેરમાં આવતા ગંભીર દર્દી પણ મૃત્યુ પામી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર કોરોના માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ મૃત્યુને કોરોના મૃતકોની યાદીમાં સામેલ ન કરવાને કારણે અનેક સવાલો ઉભા થયા છે.