સુરત: ગજેરા સ્કૂલે મંજૂરી વિના વર્ગો ચાલુ કર્યા, ગાઇડલાઈનનું પાલન ન થતાં મુખ્યમંત્રી અકળાયા
સુરત શહેરના કતાર ગામમાં આવેલી ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગો શરૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ક્લાસમાં એક બેન્ચ પર 3-3 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.
સુરત : કોરોના કાળમાં શિક્ષણ ફી બાબત શાળાના સંચાલકો મનમાની કરી રહ્યા હતા. જે બાદ હવે મનફાવે તેમ શાળાના વર્ગો પણ શરૂ કરી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. આવી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરત શહેરના કતાર ગામમાં આવેલી ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગો શરૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ક્લાસમાં એક બેન્ચ પર 3-3 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.
Recommended Video
નિયમ ભંગ ચલાવી નહીં લેવાય, યોગ્ય પગલા લેવાશે -મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હજૂ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. સરકાર કોઇ નિર્ણય લે તે પહેલાં જ સરકારની ઉપરવટ જઈને શાળાના સંચાલકોએ શાળાઓ શરૂ કરી દીધી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નિયમ ભંગ ચલાવી નહીં લેવાય, યોગ્ય પગલા લેવાશે.
સરકારે સૌથી વધુ ચિંતા વિદ્યાર્થીઓ અને બાળકોની કરી છે
ગજેરા સ્કૂલનો સમાવેશ સુરત શહેરની નામાંકિત શાળાઓમાં થાય છે. નામાંકિત શાળા પણ આવા દુષ્કૃત્ય કરતા નિર્ણયો લે તે શરમજનક બાબત છે. બાળકોના સ્વાસ્થ્ય અંગે સરકાર ગંભીર છે, ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકારી દાખવી રહ્યા છે એ સળગતો સવાલ છે. કોરોના સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે સૌથી વધુ ચિંતા વિદ્યાર્થીઓ અને બાળકોની કરી છે.
એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે
ગત ત્રણ ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના ક્લાસ શરૂ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ અંગે બહાર પાડેલા નોટીફિકેશન મુજબ બેઠક ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓને જ ક્લાસમાં બેસાડવાના રહેશે, તેમ છતા ગજેરા સ્કૂલમાં ગેરકાયદેસર રીતે અને સરકારના નોટિફિકેશનનો ભંગ કરીને ધોરણ-8ના ક્લાસ શરૂ કર્યા છે. આ ઉપરાંત આ ક્લાસમાં એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે, જે સુચવે છે કે, ગજેરા સ્કૂલના સંચાલકો માટે પૈસો જ સર્વોપરી છે. વિદ્યાર્થીઓનું જે થવું હોય તે થાય તેની તેમને કોઇ ચિંતા નથી.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ગજેરા સ્કૂલ ખાતે પહોંચી હતી. આ બાબતે બેદરકાર અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકનાર એવા ગજેરા સ્કૂલના સંચાલક મીડિયાથી મોં છૂપાવી રહ્યા છે.
મારા-તારાનો ભેદને બાજૂ પર રાખી કડક કાર્યવાહી કરો
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જણાવે છે કે, સુરતમાં ધોરણ 6થી 8ના વર્ગો સાથે શાળા શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે સરકાર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે. આ ગંભીર બાબત છે જે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. આ શાળાના સંચાલકો સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઇએ. ભાજપના નેતાઓ માટે સરકાર અલગ નિયમ બનાવે છે કે શું? ભાજપ સરકારે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને મારા-તારાનો ભેદને બાજૂ પર રાખી આવી ગંભીર બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.