Surat: સુરતવાસીઓમાં આનંદો! હવે દુબઇ જવા માટે દરરોજ મળશે ફ્લાઇટ
Surat: સુરત એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટના એક દિવસ બાદ જ સમાચાર આવ્યા છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી દરરોજ દુબઈની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતથી વહેલી સવારે ફ્લાઇટ ઉપડશે અને સવારે નવ કલાકે દુબઈ પહોંચશે. આ જ ફ્લાઈટ લગભગ 1 કલાકે પરત ફરશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સુરત એરપોર્ટ સત્તાવાળાઓ આવા કોઈ વિકાસથી અજાણ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ માટેનું બુકિંગ 14 ડિસેમ્બરથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટના નવા વિસ્તૃત ટર્મિનલના ઉદ્ઘાટન માટે સુરતમાં ઉતરશે, ત્યારે તેમની હાજરીમાં ટેકઓફ થનારી સંભવતઃ પ્રથમ ફ્લાઇટ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ દરરોજ અથવા અઠવાડિયામાં ચાર દિવસ હોવાની શક્યતા છે. જો બધું બરાબર રહેશે, તો સુરતની હોંગકોંગની ફ્લાઇટ પણ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ હીરાના વેપારીઓ અને સુરતીઓની લાંબા સમયથી પડતર માંગણી હતી, તેમજ દુબઈ સમગ્ર વિશ્વ માટે કનેક્ટિવિટી આપે છે. સુરતીઓ વેપાર અને પ્રવાસન હેતુ માટે વારંવાર દુબઈ, યુએસ અને યુરોપ જાય છે. દુબઈની ફ્લાઈટથી તેઓ દુનિયા સાથે સરળતાથી જોડાઈ શકશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત પાસે શારજાહ માટે અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ છે. જો કોઈને દુબઈથી યુએસ અથવા યુરોપની ફ્લાઈટ પકડવી હોય તો તેણે શારજાહથી દુબઈ સુધી ઓછામાં ઓછા એક કલાકની મુસાફરી કરવી પડશે. હવે તે માથાનો દુખાવો રહેશે નહીં. જોકે, સુરત એરપોર્ટના ડાયરેક્ટર રૂપેશ કુમારે જણાવ્યું હતું કે, અમે હાલમાં દુબઈ માટે કોઈ ફ્લાઈટ વિશે જાણતા નથી.
અત્રે નોંધનીય બાબત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીના આગમન માટે પાર્ટીના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા એરપોર્ટ ટર્મિનલની વાત કરવામાં આવે તો આ નવું એરપોર્ટ ટર્મિનલમાં અનેક સુવિધાઓનો લાભ પ્રવાસીઓને મળાનો છે.
ઉલ્લેખનીય છે કે, નવા એરપોર્ટ ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતી કલાકૃતિઓ છે. આ સાથે નવા ટર્મિનલમાં 1800 મુસાફરોને સમાવવા માટે પૂરતી જગ્યા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પેસેન્જર્સ માટે બે એક્ઝિક્યુટિવ લાઉન્જ બનાવવામાં આવ્યા છે. આ નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતની જનતાને 17મી ડિસેમ્બરના રોજ નવા ટર્મિનલની ભેટ મળશે.












Click it and Unblock the Notifications
