અફઘાનિસ્તાનઃ જાણીતા પત્રકાર ફહીમ દશ્તીની પંજશીર ઘાટીમાં હત્યા
અફઘાનિસ્તાનમાં રેજિસ્ટન્સ ફ્રંટના પ્રવકતા અને જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનુ રવિવારે પંજશીરમાં મોત થઈ ગયુ છે.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં રેજિસ્ટન્સ ફ્રંટના પ્રવકતા અને જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનુ રવિવારે પંજશીરમાં મોત થઈ ગયુ છે. ટોલો ન્યૂઝના જણાવ્યા મુજબ એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. દશ્તી જમિયત એ ઈસ્લામી પાર્ટીના સભ્ય અને ફેડરેશન ઑફ અફઘાન જર્નાલિસ્ટના સભ્ય હતા. તમને જણાવી દઈએ કે પંજશીર ઘાટી હિંદુકુશ પર્વતની વચ્ચે છે કે જે કાબુલથી લગભગ 90 કિલોમીટર દૂર છે. તાલિબાન પંજશીર પર નિયંત્રણ નહોતુ કરી શક્યુ પરંતુ હવે તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર પર પણ નિયંત્રણ કરી લીધુ છે.
અફઘાનિસ્તાના પૂર્વ સાંસદ જિયા આર્યનીજહાજ અને સ્વિતઝરલેન્ડ સ્થિત અફઘાન દૂતાવાસના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ નાસિર અહેમદ અંદિશાના જણાવ્યા મુજબ પંજશીરમાં પાકિસ્તાન એરફોર્સના ડ્રોન અને હેલીકૉપ્ટરના હુમલામાં ફહીમ દશ્તી અને અહમદ મસૂરનો જીવ ગયો છે.
અફઘાન મીડિયાના અમુક લોકોએ આ હુમલા બાદ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અને નેશનલ રેજિસ્ટન્સ ફોર્સના કમાંડર અહેમદ મસૂદના અફઘાનિસ્તાન છોડીને તઝાકિસ્તાન ભાગવાની વાત કહી રહ્યા છે. વળી, બીજી તરફ અફઘાન મીડિયાના બીજા લોકો નેશનલ રેજિસ્ટન્સ ફોર્સના હવાલાથી એ વાતનુ ખંડન કરીને દાવો કરી રહ્યા છે કે અહેમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ બંને હજુ પંજશીરમાં જ કોઈ ગુપ્ત જગ્યાએ છૂપાયા છે.