અમેરિકા-જર્મની પછી હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસ પર જાહેર કર્યુ નિવેદન
United Nation on Arvind Kejriwal: અમેરિકા અને જર્મની બાદ હવે યુનાઈટેડ નેશન્સે પણ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું છે કે, "દુનિયા અપેક્ષા રાખે છે કે દેશની સંસદીય ચૂંટણીમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકશે."
છેલ્લા 2 વર્ષથી યુક્રેન યુદ્ધને રોકવામાં અસમર્થ અને ગાઝા પટ્ટીના સંઘર્ષને ઉકેલવા માટે પ્રયાસ કરી રહેલું સંયુક્ત રાષ્ટ્ર ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. અમેરિકાની નિવેદનબાજી બાદ ભારત તેને પહેલાથી જ 'અયોગ્ય' અને 'અસ્વીકાર્ય' જાહેર કરી ચૂક્યું છે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપોને કારણે ચૂંટણી પહેલા 'રાજકીય અશાંતિ' વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, "અમે ખૂબ આશાવાદી છીએ કે ભારતમાં, અથવા કોઈપણ દેશમાં જ્યાં ચૂંટણીઓ યોજાય છે, રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે."
તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાએ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી પહેલા વિપક્ષ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરવાના આરોપો પર બે વખત ટિપ્પણી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને ન્યાયી કાયદાકીય પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે, જેનો ભારતે સખત વિરોધ કર્યો અને ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે, જે ઉદ્દેશ્ય અને સમયસર પરિણામો માટે પ્રતિબદ્ધ છે. તેની સામે આક્ષેપો કરવા અયોગ્ય છે."
તેમછતાં વોશિંગ્ટને ફરીથી ભારતને "આ દરેક મુદ્દા માટે વાજબી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયા" અપનાવવા હાકલ કરી. દેખીતી રીતે, અમેરિકા ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે રીતે તે અન્ય દેશોમાં વારંવાર કરતું આવ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે વૉશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમને નથી લાગતું કે આ અંગે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ અને અમે વ્યક્તિગત રીતે તે સ્પષ્ટ કરીશું." જો કે, મિલરે અમેરિકાના ટોચના રાજદ્વારી, ગ્લોરિયા બાર્બેનાને ભારતમાં બોલાવવા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કોઈ ખાનગી રાજદ્વારી વાતચીત વિશે વાત કરવાના નથી.
જ્યારે કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પક્ષના આરોપો પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની નવીનતમ ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિયમિત મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે આ ટિપ્પણીઓ અયોગ્ય છે. આપણી ચૂંટણી અને કાયદાકીય પ્રક્રિયાઓ પર આવા કોઈપણ બહારના આરોપો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."












Click it and Unblock the Notifications
