ચીને ડૉ. વેનલિયાંગની વાત ન સાંભળી એ દુનિયાને કેવી રીતે ભારે પડ્યું?

કોરોના વાઇરસ : ચીને ડૉ. વેનલિયાંગની વાત ન સાંભળી એ દુનિયાને કેવી રીતે ભારે પડ્યું?

ડૉ. લી વેનલિયાંગ

વિશ્વને સોપ્રથમ કોરોના વાઇરસ અંગે ચેતવનાર ચીની ડૉક્ટર લી વેનલિયાંગના મૃત્યુને હવે એક વર્ષ વીતી ચૂક્યું છે.

સમગ્ર વિશ્વમાં ડૉ. વેનલિયાંગની એક હીરો તરીકે ચર્ચા થઈ. પરંતુ ડૉ. વેનલિંયાંગનું મૃત્યુ પણ આખરે કોરોના વાઇરસના કારણે જ થયું હતું.

ચીનના સરકારી મીડિયામાં તેમના સ્વાસ્થ્યને લઈને કેટલાક વિરોધાભાસી સમાચારો આવતા રહ્યા.

Click here to see the BBC interactive

પરંતુ વુહાન હૉસ્પિટલ, જ્યાં ડૉ. વેનલિયાંગ કામ કરતા હતા અને જ્યાં તેમની સારવાર થઈ, તેણે પાછલા મહિને જ આ વાતની પુષ્ટિ કરી છે કે ડૉ. વેનલિયાંગનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

34 વર્ષીય ડૉ. વેનલિયાંગે ડિસેમ્બર, 2019ના અંતિમ દિવસોમાં પોતાના સાથી ડૉક્ટરોને સંક્રમણના પ્રસાર વિશે સૂચના આપી હતી.

પરતું તેના ત્રણ દિવસ બાદ જ પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમને આ બધું બંધ કરવા જણાવ્યું.

ત્યાર બાદ ડૉ. વેનલિયાંગ કામ પર પરત ફર્યા. એવું માનવામાં આવે છે કે તેઓ એક દર્દીથી સંક્રમિત થયા હતા. કોરોના વાઇરસ સાથે સંઘર્ષ કરતાં કરતાં મૃત્યુ પામ્યાનાં ત્રણ અઠવાડિયાં અગાઉ તેઓ એક હૉસ્પિટલમાં રહ્યા.

ડૉ. વેનલિયાંગે પાછલા વર્ષે જાન્યુઆરી માસમાં જ હૉસ્પિટલની પથારીથી ચીની સોશિયલ મીડિયા સાઇટ વીવો પર પોતાની કહાણી પોસ્ટ કરી હતી.

પોતાની વાત લખતાં તેમણે જણાવ્યું, “બધાને નમસ્કાર, હું ડૉક્ટર લી વેનલિયાંગ, એક ઑપ્થેલમૉલોજિસ્ટ છું અને વુહાન સેન્ટ્રલ હૉસ્પિટલમાં કામ કરું છું.”

ડૉ. વેનલિયાંગની કહાણીથી ખબર પડી કે વુહાનમાં સરકારી સંસ્થાઓએ કોરોના વાઇરસ સંક્રમણ ફેલાયો તેની શરૂઆતના તબક્કે કેવી રીતે ગેરજવાબદારીપૂર્વક વર્તન કર્યું હતું.


સાર્સ જેવા દેખાતા મામલા સામે આવ્યા

બીમાર થયા બાદ ડૉ. લીને લખ્યું તેમને સમજ નથી પડી રહી કે સરકારી સંસ્થાઓ એવું શા માટે કહી રહી છે કે કોઈ પણ સ્વાસ્થ્યકર્મી બીમારી નથી પડ્યો.

2019 ડિસેમ્બર માસમાં ડૉ. વેનલિયાંગ એ જગ્યાએ કામ કરી રહ્યા હતા જ્યાંથી આ બધું શરૂ થયું હતું. તેઓ કોરોના કેન્દ્રમાં હતા. ડિસેમ્બર માસમાં જ તેમણે વાઇરસ સંક્રમણના સાત મામલા જોયા જે તેમને સાર્સ જેવા લાગ્યા.

સાર્સ એ વાઇરસ હતો જેણે વર્ષ 2003માં વૈશ્વિક મહામારીની શિકલ લીધી હતી અને સમગ્ર વિશ્વ પર કેર બનીને તૂટી પડ્યો હતો.

એવું માનવામાં આવે છે કે આ મામલા વુહાનના હુઆનન સી ફૂડ બજાર સાથે જોડાયેલા હતા અને તમામ દર્દીઓ ડૉ. વેનલિયાંગના હૉસ્પિટલમાં ક્વૉરેન્ટિનમાં હતા.

ત્રણ ડિસેમ્બરના રોજ તેમણે એક ચૅટ ગ્રૂપમાં પોતાના સાથી ડૉક્ટરોને એક સંદેશ મોકલ્યો. જેમાં તેમણે સંક્રમણ ફેલાવવાની ચેતવણી આપી અને કહ્યું કે બધા લોકો સંક્રમણથી બચવા માટે પ્રોટેક્ટિવ કપડાં પહેરે.

ત્યારે ડૉ. વેનલિયાંગને ખબર નહોતી કે જે બીમારી સામે આવી છે, તે સંપૂર્ણપણે નવી બીમારી છે. તે એક નવો કોરોના વાઇરસ છે જે વિશ્વ પર કેર વરતાવવાનો છે.

ચાર દિવસ બાદ તેમને પબ્લિક સિક્યૉરિટી બ્યૂરોમાં બોલાવવામાં આવ્યા જ્યાં તેમને એક પત્ર પર હસ્તાક્ષર કરવાનું જણાવવામાં આવ્યું. આ પત્રમાં તેમના પર 'ખોટું નિવેદન આપવાનો’ આરોપ લગાવ્યો જેના કારણે 'સામાજિક શાંતિ ખરાબ રીતે ભંગ’ થઈ છે.

પત્રમાં લખ્યું હતું, “અમે આપને ચેતવણી આપીએ છીએ કે જો આપ આવી જ રીતે હઠ કરશો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જારી રાખશો તો તમારા પર કાયદેસર કાર્યવાહી થશે. તમે સમજી ગયા?”

https://www.youtube.com/watch?v=LkngjDJl4g8

તેની નીચે ડૉ. વેનલિયાંગના હસ્તાક્ષરોમાં લખ્યું હતું – “હા, હું સમજુ છું.”

વેનલિયાંગ એ આઠ લોકો પૈકી એક હતા જેમના પર પોલીસ “અફવા ફેલાવવા” મામલે તપાસ કરી રહી હતી.

જાન્યુઆરી, 2020ના અંતમાં ડૉ. વેનલિયાંગે આ પત્રની એક કૉપી સોશિયલ મીડિયા વેબસાઇટ વીવો પર પોસ્ટ કરી અને જણાવ્યું કે તેમની સાથે શું થયું છે.


મહામારીની શરૂઆતમાં બેદરકારી જોવા મળી?

જાન્યુઆરીના શરૂઆતનાં અઠવાડિયાં દરમિયાન વુહાનના અધિકારીઓનું કહેવું હતું કે જેઓ પ્રાણીઓના સંપર્કમાં આવ્યા છે, માત્ર તેઓ જ વાઇરસના શિકાર થઈ શકે છે. અને માણસ મારફતે સંક્રમણ નથી ફેલાઈ રહ્યો.

હવે આપણે જાણીએ છીએ કે આ કેટલું ખોટું હતું. આના કારણે ડૉક્ટરોને સંક્રમણથી બચાવવા માટે કોઈ પણ પ્રકારનાં દિશાનિર્દેશ ન આપવામાં આવ્યાં.

પરંતુ પોલીસકર્મીઓ સાથે મુલાકાતના એક અઠવાડિયાની અંદર જ ડૉ. વેનલિયાંગ ગ્લૂકોમાનાં શિકાર થયેલા મહિલાની સારવાર કરી રહ્યા હતા. તેમને એ વાતની ખબર નહોતી કે તે મહિલા કોરોના વાઇરસથી સંક્રમિત છે.

ડૉ. વેનલિયાંગે પોતાની વીવો પોસ્ટમાં જણાવ્યું હતું કે દસ જાન્યુઆરીના રોજ તેમને ખાંસી આવવા લાગી. તેના બીજા દિવસે તાવ આવ્યો જેના બે દિવસ બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેમનાં માતાપિતા બીમાર પડી ગયા અને તેમને પણ હૉસ્પિટલ લઈ જવાયાં.

તેના દસ દિવસ બાદ 20 જાન્યુઆરીના રોજ ચીને સંક્રમણને એક ઇમર્જન્સી જાહેર કરી. અને તેના બે માસ બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને એક મહામારીનું નામ આપ્યું.

શરૂઆતના દિવસોમાં ટેસ્ટિંગનાં પરિણામો ભરોસાપાત્ર નહોતાં. ડૉ. વેનલિયાંગે જણાવ્યું કે કોરોના વાઇરસ માટે ઘણી વખત તેમની તપાસ કરવામાં આવી પરતું પરિણામ નૅગેટિવ આવ્યાં.


આખરે થયું મોત

ડૉ. લી વેનલિયાંગ

ત્યાર પછી 30 જાન્યુઆરી 2020ના રોજ ડૉ. વેનલિયાંગે ફરી એક વાર વીવો પર પોસ્ટ મૂકી.

એ પોસ્ટમાં તેમણે જણાવ્યું, “આજે ન્યૂક્લેઇક એસિડ ટેસ્ટિગનાં પરિણામો આવ્યાં છે અને પરિણામ પૉઝિટિવ છે. ધૂળ હઠી ગઈ છે, આખરે ડાઇગ્નોસ થઈ ગયો છે.’

તેમણે પોતાની પોસ્ટ સાથે કૂતરાનું એક ઇમોજી લગાવેલું હતું જેની આંખો પલટેલી હતી અને જીભ પણ બહાર હતી.

એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે આ પોસ્ટ પર ડૉ. વેનલિયાંગના સમર્થનમાં હજારો કૉમેન્ટ આવી.

એક યુઝરે પોતાના દેશ વિશે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું – “ડૉ. વેનલિયાંગ એક હીરો છે. ભવિષ્યમાં જ્યારે ડૉક્ટરો સંક્રામક બીમારી સાથે સંકળાયેલા સંકેત નજર આવશે ત્યારે તેઓ આગામી ચેતવણી જારી કરતા પહેલાં વધુ ગભરાશે.”

“સાર્વજનિક સ્વાસ્થ્ય માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે લાખો-કરોડો ડૉ. વેનલિયાંગની જરૂર છે.”

તેના અમુક દિવસોની અંદર જ સાત ફેબ્રુઆરી, 2020ના રોજ ડૉ. વેનલિયાંગનું મૃત્યુ થઈ ગયું. તેઓ માત્ર 34 વર્ષના હતા.

સોશિયલ મીડિયા સાઇટ વીવો પર ડૉ. વેનલિયાંગના મૃત્યુના સમાચાર ફેલાવવાની સાથે દુ:ખ અને ગુસ્સાની લહેર જોવા મળી.

https://twitter.com/bbcnewsgujarati/status/1357957516173271044

વીવો પર બે ટ્રેંડિંગ હૅશટૅગ હતાં – “વુહાન સરકારે ડૉ. વેનલિયાંગની માફી માગવી જોઈએ.” અને “અમારે બોલવાની સ્વતંત્રતા જોઈએ.”

એક કૉમેન્ટમાં લખવામાં આવ્યું, “અત્યારે તમે જે અનુભવી રહ્યા છો તેને ન ભૂલશો, આ ગુસ્સાને ન ભૂલશો. આપણે આવું ફરીવાર ન થવા દેવું જોઈએ.”

ચીની સરકારે આ ગુસ્સો અને નારાજગી અભિવ્યક્ત ન થઈ શકે તે માટે ઘણી કૉમેન્ટ સેન્સર કરી પરંતુ આવનારા સમયમાં ચીની સરકારને એ સમજ પડી કે ચીની લોકો આ વ્યક્તિ માટે દુખી થાય એ જરૂરી છે.

એક વર્ષ બાદ ડૉ. વેનલિયાંગની મૂળ પોસ્ટ પર દસ લાખ કરતાં વધુ કૉમેન્ટ હતી. અને લાખો લોકો ડૉ. વેનલિયાંગને જાણવાની આશાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચ્યા.

ડૉ. વેનલિયાંગ એક બાળકના પિતા હતા અને બીજા બાળકના પિતા બનવાના હતા. તેમને ફ્રાઇડ ચિકન અને ટીવી સોપ પસંદ હતાં.

લોકો તેમના પેજ પર ગુડ મૉર્નિગની શુભેચ્છા પાઠવવાથી માંડીને હવામાન અને પોતાના જીવ વિશેની જાણકારી આપવા માટે પહોંચે છે.

એક કૉમેન્ટમાં લખ્યું છે, “ગુડ મૉર્નિંગ ડૉ. વેનલિયાંગ. કાલે મારી અંગ્રેજીની પરીક્ષા છે. આશા છે કે મારા માર્ક્સ સારા આવશે.”

અન્ય કેટલાક લોકોએ પોતાની પ્રેમકહાણી અને ડિપ્રેશન સાથે સંઘર્ષ જેવી વ્યક્તિગત કહાણીઓ શૅર કરી.

પરંતુ તેમના મૃત્યુના એક વર્ષ બાદ ચીન જેવી રીતે વાઇરસને નિયંત્રિત કરવામાં સફળ થઈ રહ્યું છે, તે બાદ મોટા ભાગની કૉમેન્ટમાં આશાની કિરણ જોવા મળી રહી છે.

પોસ્ટર

વુહાનમાં જીવન સામાન્ય થતું દેખાઈ રહ્યું છે, પરંતુ તેમણે વિચાર્યું નહીં હોય કે આ વાઇરસ દુનિયાને કેવી રીતે બદલવા જઈ રહ્યો છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=QUlqi_RDawQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X