પાકિસ્તાનમાં બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ, એકનું મોત!
પાકિસ્તાનના ક્વેટામાં સરયબ રોડ પાસે બલુચિસ્તાન યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની બહાર થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું છે અને 17 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ક્વેટામાં સરયબ રોડ પાસે બલુચિસ્તાન યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની બહાર થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું છે અને 17 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાએ સોમવારે આ માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં જ એજન્સીઓ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને ઘટનાસ્થળની આસપાસ તપાસ ચલાવી રહી છે.
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગેટ બહાર તૈનાત પોલીસ ટ્રકને નિશાન બનાવવામાં આવી હતી. વિસ્ફોટક એક મોટરસાઇકલમાં રાખવામાં આવ્યું હતું. શાહવાનીએ કહ્યું કે વિસ્ફોટ માટે જવાબદાર લોકોની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શાહવાનીએ શરૂઆતમાં કહ્યું હતું કે, વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે સાત પોલીસ અને ચાર રાહદારીઓ સહિત અગિયાર લોકો ઘાયલ થયા છે. પાછળથી અપડેટમાં તેમણે કહ્યું કે આ ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે. આ તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે, ઘાયલોમાં 13 પોલીસ અધિકારીઓ અને ચાર રાહદારીઓનો સમાવેશ થાય છે.
આ દરમિયાન ગૃહ પ્રધાન મીર જિયાઉલ્લાહ લાંગોવે કહ્યું કે, જ્યારે પોલીસ અધિકારીઓ યુનિવર્સિટીની બહાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. મંત્રીએ કહ્યું કે હુમલાખોરો વિદ્યાર્થીઓને નિશાન બનાવવા માંગતા હતા, પરંતુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે પોલીસ અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. લાંગોવે કહ્યું કે બદમાશો વિદ્યાર્થીઓને નિશાન બનાવીને અરાજકતા ફેલાવવા માંગતા હતા.
ગૃહમંત્રી શેખ રશીદ અહમદે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે તેમણે બલુચિસ્તાન પોલીસ મહાનિરીક્ષક પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે પોતાનો જીવ ગુમાવનાર અધિકારીના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી અને કહ્યું કે અમે આતંકવાદીઓને પ્રાંતમાં શાંતિનો નાશ કરવા દઈશું નહીં. સરકાર પ્રાંતીય સરકારને તમામ જરૂરી સંસાધનો અને સહાય પૂરી પાડશે.