ઇરાક સંકટ: 16 બંધક ભારતીયો સુરક્ષિત ખસેડાયા, નરેન્દ્ર મોદી ગંભીર
નવી દિલ્હી, 21 જૂન : ઈરાકના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા 16 ભારતીય નાગરિકોને જોખમી સ્થાનેથી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, જ્યારે મોસુલ શહેરમાં અપહરણ કરાયેલા 40 ભારતીયોમાંનો એક જણ ઉગ્રવાદી અપહરણકારોના સકંજામાંથી ભાગી છૂટ્યો છે. આ સમગ્ર મુદ્દાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંભીરતાથી લઇ રહ્યા છે.
ઈરાકમાં ભારતીય કામદારોના અપહરણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરે બેઠક બોલાવી હતી. તેમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ, કેબિનેટ સેક્રેટરી અજીત શેઠ, વિદેશ સચિવ સુજાતા સિંહ, ગુપ્તચર એજન્સીઓ તથા સુરક્ષા એજન્સીઓના વડાઓએ પણ હાજરી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું છે કે બેઠકમાં કેન્દ્ર સરકારને ઉપલબ્ધ કરાયેલી તમામ હકીકતો અને માહિતીને ધ્યાનમાં લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અકબરુદ્દીને કહ્યું કે અમને જાણકારી મળી છે કે એક ભારતીય અપહરણકારોના સકંજામાંથી ભાગી છૂટ્યો છે અને તે બગદાદમાં આપણી દૂતાવાસના સંપર્કમાં છે.
મોસુલમાં 40 ભારતીય કામદારો એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કામ કરતા હતા. આ શહેરને સુન્ની ઉગ્રવાદી જૂથ ISISએ તાબામાં લીધું છે. માહિતી મુજબ આઠ ભારતીયોને બૈજી શહેરમાંથી અને બીજા આઠને અન્બાર શહેરમાંથી ઉગારવામાં આવ્યા છે. તેમને વિમાન દ્વારા બગદાદમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે. 40 ભારતીયોનું ગઈ 10 જૂને ઈસ્લામી ઉગ્રવાદીઓ અપહરણ કરી ગયા હતા.












Click it and Unblock the Notifications
