Kuwait Fire : કુવૈત આગમાં મૃત્યુઆંક 41 એ પહોંચ્યો, પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
કુવૈતની ભયાનક આગમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ભયાનક આગની ઘટનામાં મૃત્યુઆંક 41 એ પહોંચ્યો છે.
દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં એક કામદારોની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં મોટી સંખ્યામાં ભારતીયો હતાહત થયા છે. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે.

આ અકસ્માતમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જે એક જ કંપનીના કર્મચારી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. કુવૈતના નાયબ વડાપ્રધાન મેજર જનરલ ઈદ રશીદ હમાદે જણાવ્યું કે, અધિકારીઓને સ્થાનિક સમય મુજબ સવારે 6:00 વાગ્યે (0300 GMT) ઘટનાની જાણ કરવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે, કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. કુવૈતના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આગના પરિણામે લગભગ 43 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમાંથી ચારના મોત થયા છે.
PM મોદીએ કુવૈતમાં આગની ઘટના દરમિયાન ભારતીયોના મોત પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, કુવૈત શહેરમાં આગની ઘટના દુ:ખદ છે. મારી સહાનુભુતિ તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય.
તેમણે ટ્વિટર પર લખ્યું કે, ભારતીય દૂતાવાસ નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. અમે ત્યાંના અધિકારીઓ સાથે પરિસ્થિતિનો જવાબ આપવા અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
