ભાગેડુ મેહુલ ચોક્સી પર ડોમિનિકા કોર્ટમાં આજે સુનાવણી, થઈ શકે છે પ્રત્યાર્પણનો નિર્ણય
ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે કે નહિ તેના પર આજે ડોમિનિકા કોર્ટમાં સુનાવણી થશે.
નવી દિલ્લીઃ ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે કે નહિ તેના પર આજે ડોમિનિકા કોર્ટમાં સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ભારત તરફથી તર્ક રાખવામાં આવશે કે મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો નાગરિક છે અને તેની ભારતીય નાગરિકતા હજુ ખતમ નથી થઈ માટે તેને ભારતને સોંપવામાં આવે. એંટીગુવાની નાગરિકતા મેળવવા છતાં હજુ પણ મેહુલ ચોક્સીએ ભારતની નાગરિકતા છોડી નથી. વાસ્તવમાં મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે 14,0000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ મામલે તેની સામે ભારતમાં પણ કેસ ચાલી રહ્યા છે. કેસની સુનાવણી માટે ભારત તરફથી 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી છે જેથી ચોક્સીને પ્રત્યાર્પિત કરીને ભારત લાવી શકાય.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે નાગરિકતા કાયદો 2009ની કલમ 23 અનુસાર ભારતીયએ પોતાની નાગરિકતા છોડવી જરૂરી હોય છે અને ગૃહ મંત્રાલયે આની મંજૂરી આપવાની હોય છે. મેહુલ ચોક્સીના કેસમાં હજુ આ પ્રક્રિયાને પૂરી કરવામાં આવી નથી. નાગરિકતાને ત્યાગવા માટે વ્યક્તિએ ચોક્કસ અધિકારી સામે આ અંગેની ઘોષણા કરવાની હોય છે, દસ્તાવેજોની પુષ્ટિ કરવાની હોય, ત્યારબાદ જ પ્રક્રિયા પૂરી થાય છે. એવામાં આજે થનારી સુનાવણી દરમિયાન ભારત એ વાતને પૂરજોરથી કોર્ટમાં રજૂ કરશે કે એંટીગુવાની નાગરિકતા મેળવવા છતાં મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો જ નાગરિક છે.
વળી, મેહુલ ચોક્સીની ટીમનો દાવો છે કે નાગરિકતાના નવા નિયમ ભારતના બંધારણને અલગ ન કરી શકે. ચોક્સીના વકીલનુ કહેવુ છે કે બંધારણનુ અનુચ્છેદ 9 કહે છે કે જો કોઈ પણ ભારતીય બીજા દેશની નાગરિકતા માટે આવેદન કરે તો તે સ્વતઃ ભારતની નાગરિકતા ગુમાવી દે છે. માટે ભારતની અરજીનો કોઈ આધાર નથી. રિપોર્ટ અનુસાર ઈડી પણ આજે ડોમિનિકાની કોર્ટમાં અપીલ દાખલ કરશે કે ચોક્સીને પ્રત્યાર્પિત કરવામાં આવે. આ અરજીમાં મુખ્ય રીતે ચોક્સી દ્વારા ભારતમાં કરાયોલ ગુનાના પુરાવા હશે. આ સાથે જ ઈડી કોર્ટને જણાવશે કે ઘણી નોટિસ મોકલ્યા બાદ પણ ચોક્સી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેના દક્ષિણ મુંબઈના સરનામે નોટિસ મોકલવામાં આવી છે અને આ જ સરનામુ તેના પાસપોર્ટ પર પણ છે.