ઓબામાનો શરીફને પ્રશ્નો; 26/11 પર સુનવણી કેમ શરૂ થઇ નથી?
વૉશિંગ્ટન, 24 ઓક્ટોબર : અમેરિકાની મુલાકાતે પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા વચ્ચે બુધવારે 23 ઓક્ટોબરે યોજાયેલી મુલાકાત બેઠકમાં ઓબામાએ શરીફને પ્રશ્ન પૂછ્યો હતો કે મુંબઈમાં 2008ના 26/11ના આતંકવાદી હુમલાની સુનાવણી કેમ શરૂ કરવામાં આવી નથી?
વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ઓબામા સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની મુલાકાતમાં શરીફે જણાવ્યું કે "ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ અંગેની સુનાવણી હજુ સુધી કેમ શરૂ નથી થઈ? તે અંગે ઓબામાએ મને પ્રશ્ન પૂછ્યો હતો."
નવાઝ સાથેની આ બેઠકમાં ઓબામાએ જમાતે- ઉદ- દાવા અને ડૉ. શકિલ આફ્રિદી દ્વારા સરહદીય આતંકવાદને પ્રોત્સાહન અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો. શકિલ આફ્રિદી પાકિસ્તાની ડોક્ટર છે, જેમણે અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને શોધી કાઢવા માટે સીઆઈએને સાથ આપ્યો હતો, અને તેમને જેલ થઈ હતી
પત્રકારો સાથેની વાતચીતમાં શરીફે જણાવ્યું કે "ઓબામા સાથેની આ બેઠકમાં તેમણે ભારત-પાકિસ્તાનના સંબંધોની ઉંડાણપૂર્વકની ચર્ચા કરી, ઉપરાંત કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરી." જોકે તેમણે કાશ્મીર મુદ્દે શું ચર્ચા કરી અને ઓબામાની તેના પર પ્રતિક્રિયા અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
શરીફ સાથેની મુલાકાત પત્રકારોને સંબોધતા ઓબામાએ કહ્યું કે "ભારત અને પાકિસ્તાન વચ્ચે સદીઓથી તણાવની સ્થિતિ છે, જેને વિશાળ પરિપેક્ષ્યમાં ઘટાડી શકાય છે. કારણ કે બંને દેશો સુરક્ષા હથિયારો પાછળ કરોડોનું બજેટ ખર્ચી રહ્યા છે. જો આ તણાવનો અંત આવે તો બંને દેશો શિક્ષણ અને સામાજિક વિકાસ માટેની મૂળભૂત જરૂરિયાતો માટે આ બજેટનો ઉપયોગ કરી શકશે. જે બંને દેશો માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે સારી વાત હશે".