રસપ્રદ ખુલાસોઃ લાદેનની જિંદગી અને મોતમાં છૂપાયેલી પાકની નિષ્ફળતા
લંડન, 9 જુલાઇઃ પાકિસ્તાનમાં લીક થયેલી એક સરકારી રિપોર્ટ અનુસાર 'ઢીલી નીતિ અને બેજવાબદારી'ના કારણે અલ કાયદા નેતા ઓસામા બિનલાદેન એક દશકા સુધી દેશમાં છૂપાઇ રહેવામાં સફળ રહ્યો હતો. અલ જજીરામાં લીક થયેલા રિપોર્ટના આ સંસ્કરણમાં કહેવામાં આવ્યું છે કે, લાદેનનું અમેરિકન સુરક્ષા દળોના હાથે માર્યા જવું એક હત્યા હતી, જેનો આદેશ અમરિકન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સરકાર દ્વારા રચવામાં આવેલા એબોટાબાદ કમિશન દ્વારા આ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ સુપ્રિમ કોર્ટ જજના નેતૃત્વ હેઠળની પેનલ દ્વારા 337 પેજના રિપોર્ટનું સંકલન કરવામાં આવ્યું હતં. આ 337 પેજના રિપોર્ટમાં 200થી વધુ સાક્ષીઓનું નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં લાદેનની ત્રણ પત્ની, સરકારી અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ત્યારે આ રિપોર્ટમાં બહાર આવેલી કેટલીક રસપ્રદ આશ્ચર્યકારક માહિતી અંગે અમે અહી જણાવી રહ્યાં છે. જેમાં પાકિસ્તાન કેવી રીતે નિષ્ફળ રહ્યું, યુએસએ તેને એક યુદ્ધ તરીકે લીધુ અને લાદેન કેવી રીતે રહી રહ્યો હતો તે અંગે જણાવવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી લાદેન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી.
બિન લાદેન મામલે પાકિસ્તાન રહ્યું નિષ્ફળ
અમેરિકામાં થયેલા 9/11ના હુમલામાં બાદ પોતાના દેશમાં છ અલગ-અલગ સ્થળ પર લાદેન છૂપાયો હોવા છતાં પણ પાકિસ્તાન સરકાર અને સેના તેને શોધવામાં નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં પણ જે સ્થલે યુએસ સેના દ્વારા લાદેનને ઠાર મારવામાં આવ્યો એ એબોટાબાદ પાકિસ્તાન મિલેટ્રી એકેડમીથી માત્ર 1 માઇલ જ દૂર હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને જે રીતે બેજવાબદારી દર્શાવી તેનાથી દેશની જનતાને વિશ્વ સમક્ષ શરમની લાગણી અનુભવી પડી છે.
યુએસએ તેને ગણાવી યુદ્ધની કાર્યવાહી
રિપોર્ટમાં એબોટાબાદ કાર્યવાહીને લઇને નેવી સીલની પણ આકરી ટીકા કરવામાં આવી છે. આ લાદેનને ઠાર મારવા માટે જે પગલાં અમેરિકાએ ભર્યા તેને અમેરિકા દ્વારા યુદ્ધની કાર્યવાહી તરીકે ગણાવવામાં આવ્યા હતા. આયોગે કહ્યું કે, 1971માં પાકિસ્તાન વિખેરાયા બાદથી આ દેશ માટે સૌથી મોટી શરમજનક ઘટના હતી. રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ લાદેન વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેલા અમેરિકન હેલિકોપ્ટરને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું.
ખાલિદ શેખ મહોમ્મદ સાથે લાદેનની મુલાકાત
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અફધાનિસ્તાનમાંથી ડિસેમ્બર 2001માં ભાગ્યા બાદ 2002ના મધ્યમાં લાદેન પાકિસ્તાન આવ્યો હતો, તે સ્વેત વેલીમાં ખાલિદ શેખ મહોમ્મદને મળ્યો હતો. જે 11 સપ્ટેમ્બરના હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. યુએસ દ્વારા 2003માં મહોમ્મદની ધરપકડ કરવામાં આવી ત્યારે બિન લાદેન હરીપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં તે બે વર્ષ રોકાયો હતો અને ત્યારબાદ તે એબોટાબાદ જતો રહ્યો હતો.
લાદેન પહેરતો કાઉબોય હેટ
રિપોર્ટમાં બિન લાદેનના સંબધીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે લાદેન ક્યારેક જ કમ્પાઉન્ડમાં નીકળતો હતો, જ્યારે તે કમ્પાઉન્ડમાં નીકળતો ત્યારે બે સ્વેટર, જેકેટ અને કાઉબોય હેટ પહેરતો હતો, જેના કારણે તેને ઉપરથી ટ્રેક કરવો મુશ્કેલ બની જતો હતો.
એક વાર પોલીસે તેને રોક્યો હતો
બિન લાદેનની પત્નીએ જણાવ્યું છે કે, લાદેન અને તેના કેટલાક માણસો જ્યારે બજારમાં ગયા હતા, ત્યારે કેટલાક પોલીસકર્મીઓ દ્વારા તેમને રોકવામા આવ્યા હતા, કારણ કે તેમની ગાડી ઓવર સ્પીડ હતી. જો કે, લાદેને તુરત જ આ મેટરને સોલ્વ કરી નાખી હતી અને ત્યાંથી તેઓ જતા રહ્યાં હતા. જો કે, રિપોર્ટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તે સમયે લાદેન અને તેના સાથીને ડીટેઇન કેમ કરવામા આવ્યા નહીં.
ગાર્ડનરની ભૂમિકામાં લાદેન
લાદેન પોતાના પૌત્ર માટે વ્યક્તિગત રીતે એક ધાર્મિક જ્ઞાન આપતા શિક્ષક ભૂમિકામાં હતો તેમજ જ્યારે તે બહાર રમતો ત્યારે લાદેન જાતે જ એ ગાર્ડનર તરીકે તેના પર દેખરેખ રાખતો હતો. યુએસ ફોર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે લાદેને પોતાની પત્ની અને પુત્રીને ઢાળ બનાવી હતી. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લાદેને પોતાની પત્ની અને પુત્રીનો ઢાલ તરીકે ઉપયોગ નહોતો કર્યો. તેમજ જ્યારે તેને ઠાર મારવામાં આવ્યો ત્યારે તેની પાસે કોઇ હથિયાર નહોતા.
સફરજન સાથે ચોકલેટ પસંદ હતી લાદેનને
બિન લાદેન ખરાબ સ્વાસ્થ્યમાંથી પસાર થઇ રહ્યો હતો અને તે કિડનીની સમસ્યાથી પણ પીડાતો હતો, તેને એવું લાગતું હતું કે તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ શકશે. જેને લઇને રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ખરાબ સ્વાસ્થ્યના કારણે લાદેન સફરજનની સાથે ચોકલેટ ખાતો હતો.