અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે PM મોદી સાથે કરી આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચર્ચા
અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાની પહેલી મુલાકાત દરમિયાન આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચર્ચા કરી છે.
નવી દિલ્લીઃ અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાની પહેલી મુલાકાત દરમિયાન 'સૂ મોટો' આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચર્ચા કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈ(ભાષા)એ વિદેશ મંત્રાલયનો હવાલો આપીને કહ્યુ કે કમલા હેરિસે પીએમ મોદી સાથે પોતાની પહેલી બેઠકમાં કહ્યુ કે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી જૂથો કામ કરી રહ્યા છે, આ અંગે તેમણે પાકની સરકારને કાર્યવાહી કરવા માટે કહ્યુ જેથી આ મુદ્દે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની સુરક્ષાને જોખમ ન થાય. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે(23 સપ્ટેમ્બર)ના રોજ કમલા હેરિસ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે રણનીતિક સહયોગ પર ચર્ચા કરી. પીએમ મોદી પોતાના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ માટે ત્યાં બુધવારની રાતે સાડા ત્રણ વાગે પહોંચ્યા હતા.
પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ કરી રહ્યા છે કામઃ કમલા હેરિસ
સમાચાર એજન્સીએ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાના હવાલાથી જણાવ્યુ કે ત્યાં પત્રકારોને કહેવામાં આવ્યુ છે કે, 'જ્યારે બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે ચર્ચા દરમિયાન આતંકવાદનો મુદ્દો આવ્યો, તો ઉપરાષ્ટ્રપતિએ એ અંગે પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો.' વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાને જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે શું કમલા હેરિસની પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો ઉઠ્યો છે? ત્યારે જવાબ આપીને હર્ષવર્ધન શ્રૃંગલાએ એ વાતની પુષ્ટી કરી અને કહ્યુ કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ એ પણ ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહો કામ કરી રહ્યા છે.
પીએમ મોદીની વાતોથી સંમત હતા કમલા હેરિસ
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાના હવાલાથી કહેવામાં આવ્યુ છે, 'કમલા હેરિસે આતંકવાદીઓ પર પાકિસ્તાનને કાર્યવાહી કરવા માટે કહ્યુ હતુ જેથી તેનાથી અમેરિકી સુરક્ષા અને ભારતની સુરક્ષા પ્રભાવિત ન થાય. કમલા હેરિસ સીમા પર આતંકવાદના તથ્ય પર પ્રધાનમંત્રી મોદીના બ્રીફિંગથી સંમત હતા અને એ તથ્ય કે ભારત ઘણા દશકોથી આતંકવાદનો શિકાર રહ્યુ છે અને આવા આતંકવાદી જૂથો માટે પાકિસ્તાનના સમર્થન પર લગામ લગાવવા અને બારીકાઈથી નિરીક્ષણ રાખવાની જરૂર છે.' કમલા હેરિસે કહ્યુ કે બંને દેશોના લોકોના સર્વોત્તમ હિતમાં લોકતંત્રની રક્ષા કરવી બંને દેશોની ફરજ છે.
આતંકવાદ ઉપરાંત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે ભારત-અમેરિકા રણનીતક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત વિશ્વમાં લોકતંત્ર, અફઘાનિસ્તાન અને હિંદ-પ્રશાંત માટે જોખમ સહિત સામાન્ય હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
ભારત અને અમેરિકાનો તાલમેલ અને સહયોગ વધતો જ રહેશે
પીએમ મોદીએ કમલા હેરિસને 'એક પરિવારની જેમ, સંબંધોની ભાવનાથી' ભારતનો સાથ આપવા માટે અમેરિકાનો આભાર માન્યો. વળી, પીએમ મોદીએ કમલા હેરિસને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યુ. મોદી અને હેરિસે પોતાના સંયુક્ત નિવેદનમાં કહ્યુ છે કે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસી તરીકે ભારત અને અમેરિકા પહેલેથી જ પાર્ટનર છે. આપણા મૂલ્યોમાં ઘણી સમાનતાઓ છે. માટે અમારો તાલમેલ અને સહયોગ હંમેશા વધતો રહેશે.