બે ભારતીય પત્રકારોને પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરાયા
ઇસ્લામાબાદ, 11 મે : પાકિસ્તાને ઇસ્લામાબાદમાં કાર્યરત બે ભારતીય પત્રકારોના વિઝાને રિન્યુ કરવાથી ઇનકાર કરી દીધો છે. આ સાથે જ તેમને દેશ છોડી દેના જણાવી દેવામાં આવ્યું છે. આ અંગેનો અહેવાલ અમેરિકન સમાચાર પત્રએ શનિવારે પાકિસ્તાનના સરકારી અધિકારીઓના હવાલાથી તૈયાર કરેલા એક સમાચાર અહેવાલમાં જણાવી છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતના બે પત્રકારોને ગયા ગુરુવારે ઇસ્લામાબાદમાં સૂચના મંત્રાલયને આધીન વિદેશ જનસંપર્ક વિભાગના નિર્દેશકે સૂચના આપી હતી કે તેમના વિઝા રિન્યુ કરવામાં આવી શકે તેમ નથી. આથી તેઓ પોતાના દેશ પાછા ફરે. આ માટે તેમને એક સપ્તાહનો સમય આપવામાં આવે છે.
સમાચાર પત્ર અનુસાર વિદેશ જનસંપર્ક અધિકારી અલ્તાફ હુસૈનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારતીય પત્રકારોના વિઝાને રિન્યુ મંત્રાલયની મંજુરી બાદ જ કરી શકાય એમ છે. આ બંને પત્રકારો ઓગસ્ટ 2013માં પાકિસ્તાન ગયા હતા. તેમના વિઝા માર્ચ 2014માં પૂરા થયા હતા.
ભારતીય પ્રેસ ક્લબે પાકિસ્તાન દ્વારા બે ભારતીય પત્રકારોના દેશનિકાલ પર અફસોસ વ્યક્ત કર્યો છે. આ સાથે ક્લબે પાકિસ્તાન સરકારને આ પગલા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2014 બાદ નરેન્દ્ર મોદી દેશના નવા વડાપ્રધાન બની શકે છે. આ અહેવાલોને પગલે પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. પાકિસ્તાનના આંતરિક સમાચારો બહાર જાય નહીં તેવા હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હોય તેવું બની શકે છે.