કાશ્મીર મુદ્દે દરમિયાનગીરીની શરીફની ઓફર અમેરિકાએ નકારી
આ અંગે ઓબામા વહીવટીતંત્રના એક સિનિયર અધિકારીએ કહ્યું કે કશ્મીર અંગે અમારી નીતિમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે શરીફ અમેરિકાની યાત્રાએ આવતી વખતે લંડનમાં રોકાયા હતા ત્યારે ત્યાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સાથેના કશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવા માટે હું અમેરિકાને દરમિયાનગીરી કરવા કહીશ.
શરીફે જણાવ્યું હતું કે વર્ષ 1999ના જુલાઈમાં કારગીલ ઘર્ષણ વખતે હું જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે મેં તે વખતના યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટનને સ્પષ્ટપણે જણાવેલું કે જો અમેરિકા દરમિયાનગીરી કરે તો કશ્મીર પ્રશ્ન ઝડપથી ઉકેલાઈ શકે એમ છે. મેં ક્લિન્ટનને કહેલું કે જો તે મધ્ય પૂર્વની બાબતો માટે જેટલો સમય આપે છે તેમાંનો દસ ટકા ભાગ પણ જો કશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવામાં આપે તો એ ઉકેલાઈ જાય.
ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ આવતા બુધવારે ઓબામાને મળવાના છે. આ મુદ્દે શ્રીનગરમાં જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારત કશ્મીર મામલે કોઈ પણ પ્રકારની વિદેશી દરમિયાનગીરીનો સ્વીકાર નહીં કરે. નવી દિલ્હીમાં, વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે પણ કહ્યું છે કે કશ્મીર ભારતનો આંતરિક ભાગ છે અને તે કોઈ ચર્ચાનો વિષય નથી.