લંડનમાં બે મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયેલા ચાણસ્માના વિદ્યાર્થીની લાશ મળી
લંડનમાં માર્કેટિંગ મેનેજમેન્ટના અભ્યાસ માટે ગયેલા ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના 23 વર્ષીય યુવાનની લાશ મળતા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો 23 વર્ષીય પુત્ર મીત પ્રવીણભાઈ પટેલ 19 સપ્ટેમ્બર, 2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન પહોંચ્યા બાદ મીત રોજ પરિવારજનો સાથે ફોન પર વાત કરતો હતો પરંતુ છેલ્લા પાંચ દિવસથી મીતનો સંપર્ક થયો ન હતો.

પરિવારજનો પુત્ર સાથે વાત ન થતા ચિંતામાં પડી ગયા હતા. ત્યારે અચાનક મંગળવારે મીતની લાશ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતુ. પરિવારજનોએ મીતની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. મીતના પરિવારના જણાવ્યુ કે લંડનમાં કોઈએ મીતનુ અપહરણ કરીને તેની હત્યા કરી દીધી છે.
મીતિના પિતાએ જણાવ્યુ હતુ કે મીત 19 સપ્ટેમ્બરે લંડન ગયો હતો. સુરતના એજન્ટ મારફતે માર્કેટિંગ મેનેજમેન્ટના વધુ અભ્યાસ માટે તે લંડન ગયો હતો. તે રોજ ફોન કરીને ભણવાનુ સારુ ચાલતુ હોવાનુ અને સારી સગવડ હોવાના સમાચાર પરિવારને આપતો હતો. પરંતુ 17 નવેમ્બરના રોજ તેની નાની બહેનના મોબાઈલ પર હું મુશ્કેલીમાં છુ અને જીવી શકુ તેમ નથી તેવો ઑડિયો રેકોર્ડ કરીને મોકલ્યો હતો. ત્યારબાદ તેને સંપર્ક બંધ થઈ ગયો હતો.
પુત્રનો સંપર્ક ન થતા યુવાનના પિતા ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેમણે છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતા ફોઈના દીકરા રવિભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ જણાવ્યુ કે મીતની કોઈ ભાળ નથી. લંડનની સ્થાનિક પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી.
21 નવેમ્બરના રોજ રવિ પટેલને પોલીસે માહિતી આપી હતી કે મીત પટેલે આત્મહત્યા કરી છે. મૃતકના પિતાએ મિતને કિડનેપ કરીને હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં મૃતક વિદ્યાર્થી મિતના મૃતદેહને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
