કાશ્મીરના પથ્થરબાજોને બબીતા ફોગાટનો જડબાતોડ જવાબ
બબીતાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક મહિલા મજૂરી કરતી જોવા મળે છે, તો બીજી બાજુ મોઢા પર કપડું બાંધી પથ્થર ફેંકતા કાશ્મીરી યુવાનો જોવા મળે છે.
હાલમાં જ એક ટીવી ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો હતો કે, કાશ્મીર માં સેનાના જવાનો પર પથ્થર ફેંકવા માટે યુવાઓને 5થી 7000 રૂપિયા મળે છે. ત્યારથી આખા દેશમાં કાશ્મીરનો મુદ્દો ચર્ચાય છે. આ અંગે પહેલવાન બબીતા ફોગાટે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કાશ્મીરના પથ્થરબાજોને ઉદ્દેશીને એક તસવીર પોસ્ટ કરી છે.

બબીતાએ શેર કરેલી આ તસવીરમાં એક તરફ મજૂરી કરતી મહિલા અને બીજી તરફ મોઢા પર કપડું બાંધી સેના પર પથ્થર ફેંકતા કાશ્મીરી યુવાઓ નજરે પડે છે. આ તસવીર પર લખ્યું છે, તારામાં અને મારામાં એક જ તફાવત છે, 'મને પથ્થરનો ભાર ઉંચકવાના 200થી 300 રૂપિયા મળે છે અને તને પથ્થર ફેંકવાના ઓછામાં ઓછા 500, હું રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કરું છું અને તું રાષ્ટ્ર વિચ્છેદમાં..' બબીતાના ટ્વીટ પર અનેક લોકોએ ટિપ્પણી કરી છે, ઘણા લોકોએ આ ટ્વીટ રિટ્વીટ પણ કર્યું છે.

કાશ્મીરમાં છેલ્લા ઘણા મહિનાથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે. ગત વર્ષે જુલાઇમાં ભારતીય સેના ના હાથે હિજબુલ કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટર થયું હતું, ત્યાર બાદ સતત ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારતીય સેનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો વિરોધ પ્રદર્શનમાં રસ્તા પર ઉતરી આવે છે, જેનો ફાયદો હિજબુલ તથા અન્ય સંગઠનોને મળે છે. કેટલાક સ્થાનિક યુવાઓ દ્વારા ભારતીય સેના તથા સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવે છે, આ તકનો લાભ ઉઠાવી આતંકીઓ નાસી છૂટે છે.
થોડા સમય પહેલાં જ ભારતીય સેના પ્રમુખે કહ્યું હતું કે, જો આ રીતે જ સ્થાનિક રહેવાસીઓનો વિરોધ ચાલુ રહેશે, તો પથ્થરબાજો સાથે પણ આતંકી જેવું જ વર્તન કરવામાં આવશે. આમ છતાં પથ્થરમારાની પ્રવૃત્તિમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી.












Click it and Unblock the Notifications
