નવી આઇપીએલ ટીમમાં અમદાવાદ ટીમના સમાવેશ પર સૌની નજર
આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે શનિવારે નવી ટીમ રચવા માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો હતો. આ માટે શુક્રવારે હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડવા માટે 10 શહેરો પસંદ કર્યા છે. જેમાં અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ધરમશાળા, ઇન્દોર, જમશેદપુર, નાગપુર, કટક, કાનપુર (ગ્રેટર નોઇડા), રાજકોટ અને રાંચીનો સમાવેશ થાય છે. નવી આઈપીએલ ટીમ આ શહેરોમાંથી હશે.
પસંદગી પામેલા શહેરોમાં અમદાવાદનું નામ હોવાથી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં અમદાવાદની ટીમ આઇપીએલ માટે પસંદગી પામે એવી આશા ફરીવાર જન્મી છે. નોંધનીય છે કે અગાઉ 2008 અને 2011માં અમદાવાદની આઇપીએલ ટીમ બનાવવા માટેના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. હવે ત્રીજી વારની તકમાં સફળતા મળશે એવી આશા સૌને જન્મી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ટીમની બેઝ પ્રાઇઝ પાંચ વર્ષ માટે રૂપિયા 300 કરોડ રાખવામાં આવશે. આ ઉપરાંત કેટલોક હિસ્સો લીગની મૂળભૂત 8 ટીમોની આકવમાંથી લેવામાં આવશે. નવી ટીમના માલિકને તેમની ટીમના ખેલાડીઓ રદ કરવામાં આવેલી ડેક્કન ટીમમાંથી લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
અલબત્ત, આ અંગેનો કોઇ પણ નિર્ણય સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં ડેક્કન ચર્જર્સના બરતરફી સામે કરવામાં આવેલી અરજી પરની સુનવણી બાદ લેવામાં આવશે. બીસીસીઆઇના હોદ્દેદારો સારી રીતે જાણે છે કે મુંબઇ હાઇકોર્ટ ડેક્કન ચાર્જર્સની તરફેણમાં ચૂકાદો આપશે તો આઇપીએલની છઠ્ઠી સીઝનમાં 10 ટીમો હશે.