IND vs NZ: દિગ્ગજએ કર્યું ભારતીય ટીમનું એલાન, શ્રેયસ અય્યર અને શમી બહાર, પંત અને સિરાજની એન્ટ્રી!
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 11 જાન્યુઆરીથી વડોદરામાં વનડે સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ત્રણ મેચોની મહત્વની શ્રેણી માટે પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાની મનપસંદ 15 સદસ્યની ભારતીય ટીમ જાહેર કરી છે. આ ટીમમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જે ચાહકોને આશ્ચર્યમાં મૂકી શકે છે.

સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ અંગે મોટો નિર્ણય
આકાશ ચોપરાની ટીમમાં સૌથી આશ્ચર્યજનક બાબત સંજૂ સેમસનની ગેરહાજરી છે. દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારવા છતાં આકાશ ચોપરાએ તેમને ટીમમાં સ્થાન આપ્યું નથી. ઓપનિંગ જોડી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, રોહિત શર્મા અને શુભમન ગિલની હાજરીમાં યશસ્વી જયસ્વાલે હાલ રાહ જોવી પડશે.
મિડલ ઓર્ડરમાં ઋષભ પંતની વાપસી
શ્રેયસ અય્યર ઈજાના કારણે બહાર હોવાથી આકાશ ચોપરાએ નંબર 4 માટે ઋતુરાજ ગાયકવાડ પર પસંદગી ઉતારી છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી ફિક્સ છે. વિકેટકીપર તરીકે તેમણે કેએલ રાહુલને પ્રાથમિકતા આપી છે, જ્યારે બેકઅપ વિકેટકીપર તરીકે ઋષભ પંતનો ટીમમાં સમાવેશ કર્યો છે.
જાડેજા vs અક્ષર પટેલ: કોને મળ્યું સ્થાન?
ટીમમાં ઓલરાઉન્ડરની પસંદગી અંગે આકાશ ચોપરાનું માનવું છે કે રવીન્દ્ર જાડેજાના હાલના ફોર્મને જોતા પસંદગીકારોએ ભવિષ્ય તરફ જોવું જોઈએ. આથી તેમણે જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં રાખવાની હિમાયત કરી છે. આ ઉપરાંત બેટિંગમાં ઊંડાણ લાવવા વોશિંગ્ટન સુંદર અને તિલક વર્મા બંનેને ટીમમાં સ્થાન આપ્યું છે.
બોલિંગ એટેકમાં મોહમ્મદ સિરાજની એન્ટ્રી
પેસ એટેકની વાત કરીએ તો, આકાશ ચોપરાએ મોહમ્મદ સિરાજની વાપસીને અનિવાર્ય ગણાવી છે. તેમની સાથે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને પણ ટીમમાં સામેલ કર્યા છે. વધારાના ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્પિન વિભાગની જવાબદારી કુલદીપ યાદવ સંભાળશે.
આકાશ ચોપરાની સંભવિત 15 સદસ્યની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, અક્ષર પટેલ/રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ.












Click it and Unblock the Notifications
