IPL 2025 : આઈપીએલની આ સિઝનમાં કેટલી ટીમોના કેપ્ટન બદલાયા?
IPL 2025ની શરુઆત શનિવારથી થવા જઈ રહી છે. સિઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ વખતે IPLમાં મોટા ફેરફાર થયા છે, જેમાં અનેક ટીમોના કેપ્ટન બદલાયા છે.
KKRએ આ સિઝન માટે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવ્યો છે. અગાઉ શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરતો હતો. બીજી તરફ RCBએ પણ પોતાની કપ્તાની બદલતા રજત પાટીદારને કેપ્ટનશીપ સોંપી છે.

દિલ્હી કેપિટલ્સે પણ નવા કેપ્ટનની પસંદગી કરી છે. ટીમની કમાન હવે અક્ષર પટેલ સંભાળશે. અગાઉ આ ભૂમિકા ઋષભ પંત નિભાવતો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલની જગ્યાએ પંતને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
રાજસ્થાન રોયલ્સે સિઝનની શરૂઆત માટે અનોખો નિર્ણય લીધો છે. પ્રથમ ત્રણ મેચ માટે રિયાન પરાગને કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારબાદ સંજૂ સેમસન ફરીથી ટીમના સુકાની રહેશે.
ગુજરાત ટાઇટન્સે કેપ્ટન તરીકે શુભમન ગિલ પર ભરોસો જતાવ્યો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રૂતુરાજ ગાયકવાડ સંભાળશે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સને સોંપ્યું છે.
હાર્દિક પંડ્યા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. ગત સિઝનમાં ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને હટાવી પંડ્યાને આ જવાબદારી સોંપી હતી. પંજાબ કિંગ્સે પણ કેપ્ટન બદલ્યો છે અને હવે શ્રેયસ અય્યર ટીમના નવા સુકાની બન્યા છે.
IPL 2025 અનેક નવીનતાઓ અને બદલાવ સાથે એક રોમાંચક સિઝન સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે કોણ પોતાની નવી ભૂમિકા બરાબર નિભાવી શકશે અને કોણ IPL 2025ના ખિતાબ પર કબજો જમાવશે.












Click it and Unblock the Notifications
