ભારતના સ્ટાર ક્રિકેટર અશ્વિને દાનમાં આપી પોતાની આંખો
સ્પીન બોલર આર અશ્વિને પોતાની આંખો દાનમાં આપવાની જાહેરાત કર્યા બાદ જણાવ્યુ કે તેની પત્નીનું આ સપનુ હતુ જે આજે પૂરુ થઇ રહ્યુ છે. તેણે સૌને આ ધ્યેયમાં સહયોગ આપવાની અપીલ કરી...
પોતાની શાનદાર સ્પીન બોલિંગથી દુનિયાભરના બેટ્સમેનોને હંફાવનાર ભારતના સ્ટાર બોલર આર અશ્વિને એક મોટુ દ્રષ્ટાંત પૂરુ પાડતા પોતાની આંખો દાન કરી છે. અશ્વિને આ અંગેની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ટ્વીટ કરીને આ જાણકારી પોતાના પ્રશંસકોને આપી છે. અશ્વિને રોટરી રાજન આઇ બેંકને પોતાની આંખો દાનમાં આપી છે. અશ્વિને જણાવ્યુ કે તેની પત્ની પ્રીતિનું ઘણા સમયથી આ સપનું હતુ.

અશ્વિને ધ હિંદુ અખબારને કહ્યુ કે આંખો દાન કરવી અને આ માટે જાગૃતતા ફેલાવવા માટેના કામ કરવાની તેની પત્નીની કોશિશો ઘણા લાંબા સમયથી રહી છે. આજે મે આંખો દાન કરીને આની શરુઆત કરી છે. આશા રાખુ છુ કે લોકો આ ઉદ્દેશ્યમાં મારો સાથ અને સહયોગ આપશે.
ક્રિકેટના મેદાનની સાથે પોતાના ખાનગી જીવનમાં પણ આર અશ્વિનના સિતારા હમણાથી ચમકી રહ્યા છે. અશ્વિને બોલિંગ સાથે સાથે બેટિંગમાં પણ પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ છે. હાલમાં જ ઇંગ્લેંડ સામેની સીરિઝમાં તેણે સતત શાનદાર બોલિંગ કરી. આઇસીસીની રેકિંગમાં તે ટોપ ઓલરાઉંડર છે. આ સાથે સાથે તે આઇસીસી તરફથી ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે.
અશ્વિનને ગયા શુક્રવારે ઇંગ્લેંડ સામે પસંદ કરવામાં આવેલ વનડે અને ટી-20 ટીમમાં પણ જગ્યા આપવામાં આવી છે. તે ભારતીય ટીમના સૌથી મહત્વના સ્પીન બોલર હશે. છેલ્લા છ મહિનામાં ટીમનો મહત્વનો ભાગ બની રહેલ આર અશ્વિનના કેરિયરમાં કેટલોક સમય આવેલા ઉતાર ચડાવને અવગણીએ તો તેણે સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે.
ક્રિકેટના મેદાન ઉપરાંત તેમના માટે બીજા ખુશીના સમાચાર ડિસેમ્બરમાં એ આવ્યા કે તે બીજી વાર પિતા બન્યો છે. સ્પીન બોલરની પત્ની પ્રીતિ નારાયણે 21 ડિસેમ્બરે બીજી દીકરીને જન્મ આપ્યો. બંનેને પહેલેથી જ એક દીકરી અકીરા છે. અકીરાનો જન્મ જુલાઇ 2015 માં થયો હતો. ઇંગ્લેંડ સામેની સીરિઝમાં દમદાર પ્રદર્શન બાદ અશ્વિન આજકાલ પોતાના પરિવાર સાથે છે.












Click it and Unblock the Notifications
