અચાનક કેમ ગાયબ થયુ રવિન્દ્ર જાડેજાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ? સોશિયલ મીડિયા પર હંગામો
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડીએક્ટિવેટ કરવામાં આવતા ચાહકોમાં આશ્ચર્ય અને મૂંઝવણ જોવા મળી રહી છે. આ ઘટના ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા તેને ટ્રેડ ડીલ હેઠળ છોડી દેવાના સમાચારો વચ્ચે સામે આવી છે.
સૂત્રો અનુસાર, CSK IPL 2026ની હરાજી પહેલા રવીન્દ્ર જાડેજાને ટ્રેડ ડીલ દ્વારા ટીમમાંથી મુક્ત કરી શકે છે. તેને અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે બદલી શકાય છે તેવી અટકળો ચાલી રહી છે. આ બધાની વચ્ચે જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન માટેની મિની હરાજી 15 ડિસેમ્બરના રોજ યોજાવાની સંભાવના છે. તે પહેલા 15 નવેમ્બર સુધીમાં તમામ 10 ટીમોએ પોતાના રીટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી બોર્ડને સુપરત કરવાની રહેશે, જે તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
માહિતી મળી રહી છે કે CSK રવીન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સને ટ્રેડ ડીલ દ્વારા આપી શકે છે અને બદલામાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કરી શકે છે. હાલ આ ડીલ પર ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલ છે.
સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું છે. ચાહકો જ્યારે તેના પ્રોફાઇલની મુલાકાત લે છે ત્યારે તેમને આ લિંક ખોટી છે અથવા પ્રોફાઇલ હવે હટાવી દેવામાં આવી છે તેવું દેખાય છે.
જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે રવીન્દ્ર જાડેજાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જાતે બંધ કર્યું છે કે અન્ય કોઈ કારણસર તે ડીએક્ટિવેટ થયું છે. નોંધનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સ રવીન્દ્ર જાડેજાની IPLમાં પ્રથમ ટીમ નહોતી.
રવીન્દ્ર જાડેજા IPLની પ્રથમ સીઝનથી જ રમી રહ્યા છે. તેની પ્રથમ ટીમ રાજસ્થાન રોયલ્સ જ હતી, જ્યાં તેમના પાછા ફરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તે રાજસ્થાન રોયલ્સ માટે બે સીઝન રમ્યા અને પછી 2011માં કોચી ટસ્કર્સ કેરળ માટે રમ્યા.
વર્ષ 2012માં જાડેજા પ્રથમવાર ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયા. ત્યારબાદ 2016 અને 2017ની સીઝન સિવાય તેઓ દરેક સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રહ્યા. તેમને CSKના કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ટીમના અને તેમના વ્યક્તિગત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જાડેજાએ તે પદ પરથી રાજીનામું આપ્યું હતું.












Click it and Unblock the Notifications
