શ્રેયસ અય્યરને લઈને સિડનીથી આવ્યા નવા સમાચાર, BCCIએ હેલ્થ બુલેટિન જાહેર કર્યું, ક્યારે ફરશે પરત?
Shreyas Iyer: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરની ઈજાને લઈને ક્રિકેટ ચાહકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે અય્યરના સ્વાસ્થ્ય અંગે નવા અપડેટ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે તેમની હાલત હવે સ્થિર છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

અગાઉ, અય્યરને પેટમાં ગંભીર ઈજા થયા બાદ તેમને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેઓ ICU માં હતા. હવે ICU માંથી બહાર આવવાની ખબર બાદ BCCIના આ નિવેદને તેમના ચાહકોને મોટી રાહત આપી છે.
BCCIનું સત્તાવાર નિવેદન
BCCIએ પોતાની વેબસાઇટ પર નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે:
"શ્રેયસ અય્યરને 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે પેટમાં જોરદાર ઈજા થઈ હતી, જેના કારણે તેમની સ્પ્લીન (બરોળ) માં કાપ (Laceration) પડ્યો હતો અને આંતરિક રક્તસ્રાવ શરૂ થયો હતો. આ ઈજાને તરત જ ઓળખી કાઢવામાં આવી હતી અને રક્તસ્રાવને સફળતાપૂર્વક રોકવામાં આવ્યો છે."
બોર્ડે વધુમાં જણાવ્યું કે અય્યરની હાલત સ્થિર છે અને તેઓ સતત ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. મંગળવારે, 28 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા ફરીથી સ્કેનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, અને શ્રેયસ હવે ધીમે ધીમે રિકવરીના માર્ગે છે. BCCIની મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાત ડોક્ટરો સાથે મળીને તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
પરિવાર ઓસ્ટ્રેલિયા નહીં જાય
કેટલાક રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસ અય્યરની ઝડપી રિકવરીને ધ્યાનમાં રાખીને તેમનો પરિવાર હાલ ઓસ્ટ્રેલિયા નહીં જાય. પરિવારે વીડિયો કોલ દ્વારા અય્યર સાથે વાત કરી છે અને આશા છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ભારત પરત ફરશે. જોકે, તેમને હોસ્પિટલમાં વધુ કેટલા દિવસ રહેવું પડશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
