પહેલા સચિનને ભારત રત્ન પર મિલ્ખા સિંહે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : પોતાના સમયના સ્ટાર એથલીટ મિલ્ખા સિંહે આજે જણાવ્યું કે હૉકીના જાદૂગર ધ્યાનચંદ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પહેલા ખેલાડી હોવા જોઇતા હતા. મિલ્ખા સિંહે પત્રકારોને જણાવ્યું કે 'ધ્યાનચંદને પહેલા ભારત રત્ન મળવું જોઇતું હતું. તેઓ તેના સૌથી મોટા હકદાર હતા.'
'ફ્લાઇંગ શીખ'નું માનવું છે કે ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકરને ભારત રત્ન મળવાથી અન્ય ભારતીય ખેલાડીઓ માટે આ પુરસ્કાર મેળવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. તેમણે જણાવ્યું, 'એ સત્ય છે કે સચિનને આ પુરસ્કાર આપવામાં આવ્યો પરંતુ સૌથી પહેલા તે ધ્યાનચંદને મળવું જોઇતું હતું.'
અત્રે નોંધનીય છે કે તત્કાલિન કોંગ્રેસ સરકારે સચિન તેંડુલકરને ભારતરત્ન પુરસ્તાર આપવાનો રાતોરાત નિર્ણય કર્યો હતો. કોઇપણ સ્પોર્ટ્સ પર્સનને આ પહેલા ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યો નથી. સચિન પહેલા એવા ખેલાડી છે જેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જોકે હોકીના જાદુગર કહેવાતા ધ્યાનચંદને મરણોપરાંત ભારત રત્નથી નવાજવાની માંગ પહેલેથી થતી રહી છે.