IND vs ENG: પાંચમી ટેસ્ટ કરાવવા મુદ્દે ECB-BCCI આમને સામને!
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારત ઈચ્છે છે કે રદ થયેલી પાંચમી ટેસ્ટ મેચ રમાય.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારત ઈચ્છે છે કે રદ થયેલી પાંચમી ટેસ્ટ મેચ રમાય. આ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના નિવેદનથી વિપરીત છે, જેમાં ઇસીબીએ કહ્યું છે કે આ શ્રેણી અહીં સમાપ્ત થઇ ગઇ છે અને હવે આગળ જે ટેસ્ટ મેચ રમાશે તે પોતાનામાં અલગ સ્ટેન્ડ-અલોન મેચ હશે. એટલે કે તેને આ શ્રેણી સાથે કોઈ લેવાદેવા નથી.
ECB એ ICC ની વિવાદ નિરાકરણ સમિતિને વિનંતી કરી છે કે રદ્દ થયેલી ટેસ્ટ મેચની સ્થિતિની જાણ કરે. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાવાની હતી, જેમાં ભારતીય ટીમ ન રમવાના કારણે રદ કરવામાં આવી હતી અને આઈસીસીએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.
સૌરવ ગાંગુલીએ પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, અમે આ શ્રેણી પૂરી કરવા માંગીએ છીએ, કારણ કે 2007 પછી ઈંગ્લેન્ડમાં આ અમારી પ્રથમ શ્રેણી જીત હશે. બીસીસીઆઈ ટેસ્ટને સર્વોચ્ચ ફોર્મેટ માને છે અને અમે આ અંગે કોઈ સમાધાન નહીં કરીએ.
ભારતીય ટીમે 5 મી ટેસ્ટ રમવાનો ઇનકાર કર્યો હતો. તે પહેલા ચાર ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારત 2-1થી આગળ હતું. ભારતીય કેમ્પમાં કોવિડ-19 ના કેસ વધ્યા હતા. સપોર્ટ સ્ટાફ અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું બીસીસીઆઈ બે વધારાની ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ માટે સંમત છે? કેમ કે ભારત આગામી વર્ષે જુલાઈમાં સફેદ બોલ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનું છે. તે માટે ગાંગુલીએ કહુું છે કે BCCI ને કોઈ સમસ્યા નથી અને અમે વધારાની વનડે અને ટી 20 મેચ રમવા માટે તૈયાર છીએ. ગાંગુલી આગળ કહે છે કે, અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે આગળ જે પણ ટેસ્ટ મેચ રમાશે, તેને આ શ્રેણીની પાંચમી ટેસ્ટ તરીકે લેવી જોઈએ.
ICC એ જોવું પડશે કે કોવિડ-19 ને કારણે આ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે કે નહીં. અને જો આવું થાય તો ભારત સત્તાવાર રીતે શ્રેણી 2-1થી જીતી જશે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ જોગવાઈ છે. સૌરવ ગાંગુલી પોતે કહે છે કે છેલ્લા 18 મહિનામાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જ્યારે ક્રિકેટ શ્રેણી રદ કરવી પડી હતી અને ભારતને ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ રદ કરવી પડી હતી, જેના કારણે 40 થી 50 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. ગાંગુલીને આશા છે કે આવનારા સમયમાં નક્કર તબીબી સલાહ લાવવાનું કામ કરવામાં આવશે, જેથી ટીમમાં કોવિડ-19 મળી આવે તો રમતને કેવી રીતે આગળ વધારવી તે જાણી શકાય.
સૌરવ ગાંગુલીએ દોહરાવ્યુ કે, ટેસ્ટ ક્રિકેટ BCCI ની સૌથી મોટી પ્રાથમિકતા છે. આ સિવાય ગાંગુલી કહે છે, અમે ખૂબ જ નિરાશ છીએ કે આ રીતે શ્રેણી રદ કરવી પડી. તેની પાછળનું એકમાત્ર કારણ કોવિડ-19 હતું અને ખેલાડીઓની સલામતી એક મોટી વાત છે. અમે તેમને એક લીમીટ સુધી જ એ તરફ ધકેલી શકીએ છીએ.
ગાંગુલી માને છે કે ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમાર ટીમના તમામ ખેલાડીઓ સાથે સંપર્કમાં હતા અને જ્યારે ફિઝિયો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે ચિંતા સ્વભાવિક હતી. બીજી તરફ ઇસીબીના સીઇઓ ટોમ હેરિસનનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓને મેદાનમાં ઉતારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ભારતીય કેમ્પને આગળ શું થશે તે અંગે કોઇ ખ્યાલ નહોતો અને ડરના કારણે રમવાની ના પાડી દીધી હતી. હવે ગાંગુલી 23 મી સપ્ટેમ્બરે લંડન જશે, જ્યાં તે ECB અને CEO સાથે વાતચીત કરશે, ગાંગુલી કહે છે કે, જો ટેસ્ટ મેચ રદ કરવામાં આવે તો પણ હું ત્યાં જઈને જોઉં છું કે આપણે શું પ્રાપ્ત કરી શકીએ.