શમીને ટ્રોલ કરનારાઓને કોહલીનો જવાબ, આવા લોકો નબળા છે!
ઓક્ટોબરે ભારતીય ટીમ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ત્યારે સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ ભારતની હાર માટે શમીને જવાબદાર ગણાવ્યો હતો.
દુબઈ : 24 ઓક્ટોબરે ભારતીય ટીમ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ત્યારે સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ ભારતની હાર માટે શમીને જવાબદાર ગણાવ્યો હતો. શમી સારી બોલિંગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. શમીને દેશદ્રોહી પણ કહેવામાં આવ્યો હતો, જો કે ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ શમીનું સમર્થન કર્યું હતું. હવે ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના ફાસ્ટ બોલર શમીનું સમર્થન કર્યું અને કહ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર મજાક કરે છે તેમની પાસે આગળ આવવાની હિંમત નથી.
ભારત 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ પહેલા કોહલીએ મીડિયા સાથે વાત કરતા શમી સાથે જોડાયેલા વિવાદ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, એ નબળા લોકો છે જે સોશિયલ મીડિયા પર આવું લખે છે. આવા લોકોમાં સામસામે વાત કરવાની હિંમત હોતી નથી. લુખ્ખા લોકોની ટોળકીએ સોશિયલ મીડિયા પર કોઈની મજાક ઉડાવી તે કમનસીબ ઘટના છે. આવા લોકો ઓળખ છતી નથી કરતા. છુપાઈને કોઈને નિશાન બનાવે છે. તેમનામાં સામે આવવાની હિંમત નથી અને આવા લોકો કોઈની પાછળ પડી જાય છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈની મજાક ઉડાવવી એ ખૂબ જ ખરાબ બાબત છે.
શમી પર ધર્મને લઈને પણ નિશાન સાધવામાં આવ્યું હતું. આ અંગે કોહલીએ વધુમાં કહ્યું કે, આ માનવતા નથી. આ સૌથી ખરાબ છે, તમે ધર્મના આધારે કોઈને ઘેરી ન શકો. આનાથી વધુ નિરાશાજનક કંઈ હોઈ ન શકે. આવા લુચ્ચા કામમાં લોકો માનવ ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યા છે. હું જોકર્સને હું આ રીતે જોઉં છું. વ્યક્તિગત ખેલાડીઓ તરીકે અમે જાણીએ છીએ, સમજીએ છીએ કે અમારે મેદાન પર શું કરવાનું છે અને શું નહીં. તે માટે અમારી પાસે ક્ષમતા અને માનસિક શક્તિ છે. જે લોકો તેની મજાક ઉડાવે છે તેની પાસે ન તો ક્ષમતા છે કે ન હિંમત. તે અમારા જેવું કંઈક કરવાનું વિચારી પણ શકતા નથી.
કોહલીએ વધુમાં કહ્યું કે, અમે ક્યારેય ધર્મના આધારે ભેદભાવ કરવાનું વિચાર્યું નથી. ધર્મ એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે. ધર્મને વચ્ચે લાવવાથી અમારો ભાઈચારો અને મિત્રતા નષ્ટ થઈ શકે નહીં અને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી. હું તેને શ્રેય આપું છું, જે અમને સારી રીતે સમજે છે. શમીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો કોમેન્ટ્સ આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તે દેશદ્રોહી છે. જેમ જેમ મામલો વધતો ગયો, તેમ તેમ ફેન્સ અને જાહેર ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ ટેકો પણ આપ્યો. વિરેન્દ્ર સેહવાગે પણ ટ્રોલ કરનારાઓને સલાહ આપી હતી. શમીએ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.