ધોનીની જેમ ધૈર્યવાન બનવાનો પ્રયત્ન કરીશ: કોહલી
સિડની, 5 જાન્યુઆરી: ભારતના નવા ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલીએ આજે અત્રે જણાવ્યું કે મંગળવારે અત્રેથી શરૂ થનારી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે, તો મુશ્કેલીના સમયમાં ધૈર્યવાન રહીને પોતાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના પગલે ચાલવાનો પ્રયત્ન કરશે.
કોહલીએ ધોનીના સંન્યાસની જાહેરાત પર જણાવ્યું કે અમે મેલબર્ન ટેસ્ટ બાદ ડ્રેસિંગ રૂમમાં કપડા બદલી રહ્યા હતા અને પોતાનો સામાન સમેટી રહ્યા હતા, જ્યારે ધોની આવ્યા અને કહેવા લાગ્યા કે તેઓ કંઇ કહેવા માંગે છે. ત્યારબાદ તેમણે પોતાના નિર્ણયની જાહેરાત કરી અને અમે સૌ આશ્ચર્યમાં પડી ગયા. આ બધું એટલું ઝલદી બની ગયું કે કંઇ સમજાયું નહીં. અમે આવી આશા ન્હોતી રાખી અને આ અમારા માટે સ્તબ્ધ કરનારો નિર્ણય હતો.
ધોનીની આંગળીમાં ઇજાના કારણે એડિલેડ ઓવલમાં પહેલી ટેસ્ટમાં કાર્યવાહક કપ્તાનની ભૂમિકા નિભાવનાર કોહલીએ બંને પારીઓમાં સદી ફટકારી હતી અને ભારતને જીતની નજીક લઇ ગયા હતા પરંતુ ટીમને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોહલીએ જણાવ્યું કે શ્રેષ્ઠ ક્રમના બેટ્સમેનો પોતાની ભૂલોથી શીખવા માટે તૈયાર છે.