યુપીના બુલંદશહેરમાં છુપાયેલો છે વણલખાયેલો ઈતિહાસ, જાણો ખાસ વાત
બુલંદ શહેર, દિલ્હીની નજીક આવેલું ઉત્તરપ્રદેશનું ઐતિહાસિક શહેર. જ્યાં ભારતીય ઈતિહાસ સાથે જોડાયેલા અનેક પુરાવા છે.
બુલંદ શહેર, દિલ્હીની નજીક આવેલું ઉત્તરપ્રદેશનું ઐતિહાસિક શહેર. જ્યાં ભારતીય ઈતિહાસ સાથે જોડાયેલા અનેક પુરાવા છે. આ શહેરનો ઈતિહાસ 1200 વર્ષ જૂનો છે, ત્યારે તેને 'બરન’ નામથી ઓળખવામાં આવતું હતું. અહિબરન નામના શાસકે અહીં બરન નામનો કિલ્લો બનાવ્યો હતો, જે બાદ તેણે બરન શહેર નામે પોતાની રાજધાની સ્થાપી. પાછળથી આ શહેરનું નામ બદલાઈને બુલંદશહેર થઈ ગયું.
બ્રિટિશ શાસન દરમિયાન અહિબરનની આગળની પેઢીઓએ અહીં વર્ષો સુધી રાજ કર્યું. તેમાંથી જ એક રાજા અનુપરાયે નજીકમાં અનુપશહેર નામનું નગર બનાવ્યું. ઐતિહાસિક પ્રવાસનની દ્રષ્ટિએ અહીં ખાસ સ્થળો આવેલા છે, જ્યાં તમે કોઈ પણ સમયે મુલાકાત લઈ શકો છો. આ ખાસ લેખમાં જાણો ઐતિહાસિક બુલંદશહેરની આસપાસ આવેલા ઐતિહાસિક પર્યટન સ્થળો વિશે.
અહર
બુલંદશહેરથી 52 કિલોમીટર દૂર આવેલું અહેર એક એવું સુંદર સ્થળ છે જ્યાં તમે કાર કે બસ દ્વારા પહોંચી શકો છો. અહર બુલંદશહેર જિલ્લાનું એક નાનકડું નગર છે, જેનો ઈતિહાસ વર્ષો જૂનો છે. આ શહેર પવિત્ર ગંગા કિનારે વસેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે ભગવાન શિવ અને દેવી અવંતિકાનું મંદિર. દેવી અવંતિકાના પ્રાચીન મંદિરમાં દર્શન માટે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.
નવરાત્રિ અને શિવરાત્રિ દરમિયાન અહીં ભક્તોનું મહેરામણ ઉમટે છે. ઇતિહાસના પાના કહે છે કે આ શહેર મહાભારત કાળ સાથે જોડાયેલું છે. ભારતના પૌરાણિક ઈતિહાસ સાથે જોડાયેલી કથાઓ જાણવા તમે અહીંની મુલાકાત લઈ શકો છો.
અનુપશહેર
બુલંદશહેરથી 42 કિલોમીટર દૂર આવેલું અનુપશહેર પણ ઐતિહાસિક નગર છે, જેની સ્થાપના રાજા અનુપરાયે 17મી સદીમાં કરી હતી. આ નગર પણ ગંગાના કિનારે વસેલું છે. કારતકી મેળા દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ ભીડ જામે છે. આ વાર્ષિક મેળામાં ભાગ લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે. પવિત્ર ગંગા નદીના કારણે આ નગરને નાનું કાશી પણ કહે છે. અહીં ભવ્ય ગંગા આરતી અને પવિત્ર સ્નાનનું પણ આયોજન કરવામાં આવે છે. આ શહેરમાં નાના-મોટા અનેક હિંદુ મંદિર આવેલા છે, જેના દર્શન માટે બુલંદશહેરનો પ્રવાસ કરી શકો છો.
એક દંતકથા અનુસાર અનુપરાયે એક સમયે મુઘલ શાસક જહાંગીરને સિંહના હુમલાથી બચાવ્યો હતો, અનુપરાયની આ બહાદુરી માટે જહાંગીરે તેમને આ સ્થળ ભેટમાં આપ્યું હતું. બાદમાં અનુપરાયે અહીં કિલ્લો બનાવીને તને અનુપશહેર નામ આપ્યું.
ખુર્જા
PC- Sankoswal
ખુર્જા બુલંદશહેરથી 17 કિમી દૂર આવેલું મહત્વનું નગર છે. આ નગર પોતાના ઉત્તમ સિરામિક ઉત્પાદનો માટે જાણીતું છે. અહીં બનતા માટીના વાસણોની માગ આખા વિશ્વમાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ખુર્જામાં માટીના વાસણ બનાવતા અને સુશોભન કરતા 500થી વધુ કારખાના છે.
આ ફેક્ટરીઓ બુલંદશહેરના લોકો માટે રોજગારીનો મોટો સ્રોત છે. તમે ખુર્જામાં બસ કે ટેક્સી દ્વારા પહોંચી શકો છો. ખુર્જા દિલ્હીથી માત્ર 85 કિમી દૂર આવેલું છે.
કર્ણવાસ
PC- Ranveig
બુલંદશહેરથી તમે પ્રાચીન સ્થળ કર્ણવાસની પણ મુલાકાત લઈ શકો છો. આ સ્થળનું નામ મહાભારતના સૌથી વીર પાત્ર દાનવીર કર્ણ પરથી રખાયું છે. પૌરાણિક કિવદંતી અનુસાર દાનવીર કર્ણ રોજ 50 કિલો સોનું દાન કરતા હતા.
અહીં આવેલું પ્રાચીન કલ્યાણી દેવીનું મંદિર પણ લોકપ્રિય ધાર્મિક સ્થળ છે. માતાના દર્શન મટે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે. બુલંદશહેરથી કર્ણવાસ તમે ઓટો રિક્શા દ્વારા સહેલાઈથી પહોંચી શકો છો.
સિકંદરાબાદ
ઉપરના સ્થળો ઉપરાંત તમે બુલંદશહેરથી માત્ર 18 કિલોમીટર દૂર આવેલા સિકંદરાબાદની મુલાકાત પણ લઈ શકો છો. સિકંદરાબાદ એક પ્રાચીન નગર છે, જેને સિકંદર લોધીએ 1498માં બનાવ્યું હતું. અહીં અનેક ઐતિહાસિક ઈમારતો મોજૂદ છે, જેમાંથી એક ચિશ્તી સાહબનું સ્મારક પણ છે. ઑફ બીટ પર્યટન માટે આ સ્થળ ખાસ મનાય છે. અહીં અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા પણ ચાલે છે.
સિમેન્ટ ફેક્ટ્રીથી લઈને ઈલેક્ટ્રોનિક, ટેક્સટાઈલ સહિતના કારખાના અહીં આવેલા છે. કંઈક શીખવાના આશય સાથે તમે આ ફેક્ટરીઓની મુલાકાત પણ લઈ શકો છો. રાષ્ટ્રીય રાજમાર્ગથી બુલંદ શહેર દિલ્હી જોડાયેલું છે. અને માત્ર કેટલાક કલાકોમાં તમે અહીં પહોંચી શકો છો.