વરલક્ષ્મીનું વ્રત: ધન, વૈભવ, જ્ઞાન અને આરોગ્ય પ્રદાન કરે છે.
વરલક્ષ્મીનું વ્રત હિંદુ પરણિત સ્ત્રી-પુરુષો દ્વારા કરવામાં આવે છે.
ધન, વૈભવ, સમૃધ્ધિ, સુખ, સંપતિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં એક દુર્લભ વ્રતનો ઉલ્લેખ કરેલો છો. આ વ્રત છે વરલક્ષ્મી વ્રત.આ વ્રતના નામથી જ જાણી શકાય છે. તેના અર્થને સમજી શકાય છે. વર એટલે કે 'વરદાન' અને લક્ષ્મી એટલે 'ધન-વૈભવ'. વરલક્ષ્મી વ્રત કરનારા વ્યકિતના આખા કુટુંબને આપો આપો સુખ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે. આ માત્ર વૈભવ પ્રદાન કરે છે એવુ નથી. ધરના દરેક સભ્યોને આ વ્રતથી લાભ થાય છે. જીવનમાં આવનારી મુસીબતો માંથી રક્ષા પ્રાપ્ત થાય છે.
ક્યારે કરવું આ વ્રત?
વરલક્ષ્મી વ્રત રક્ષાબંધનના ઠીક પહેલા આવનારા શુક્રવારે કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 4 ઓગસ્ટે આવી રહ્યુ છે. આ વ્રત આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર માં મોટા પાયે કરવામાં આવે છે. આ વ્રત માત્ર પરણિત સ્ત્રીઓ કરે છે. કુંવારી કન્યાઓએ આ વ્રત કરવું નહિં. કુટુંબમાં સુખ અને સંપન્નતા માટે પરણિત પુરુષો પણ આ વ્રત કરી શકે છે.
આઠ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે
જો પતિ-પત્ની બંને સાથે મળી આ વ્રત કરે તો તેનો બમણો લાભ મળે છે. આ વ્રતના પ્રભાવથી જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે. આર્થિક મુશ્કેલી દૂર થઈ જાય છે અને વ્રત કરનાર વ્યકિતના જીવનમાં ધનનું આગમન થાય છે. વરલક્ષ્મી વ્રતથી આઠ પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી, ભૂ, કિર્તી, શાંતિ, સંતુષ્ટિ અને પુષ્ટિ. એટલે કે વરલક્ષ્મી વ્રત કરનાર વ્યકિતને જીવનમાં ધન, સંપતિ, જ્ઞાન, પ્રેમ, પ્રતિષ્ઠા, શાંતિ, સંપન્નતા અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરશો પૂજા?
એવું કહેવાય છે કે, વરલક્ષ્મીની ઉત્પતિ ક્ષીરસાગરથી થઈ છે. ગૌર વર્ણની આ દેવી દૂધ સમાન શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. માન્યતા છે કે, વરલક્ષ્મી વ્રત કરવાથી અષ્ટલક્ષ્મીની પૂજા સમાન ફળ મળે છે. વરલક્ષ્મી વ્રત કરનારી સ્ત્રીઓ અને પુરુષો આ દિવસે ઉપવાસ કરે છે. દિવાળીમાં જે રીતે લક્ષ્મીની પૂજા થાય છે તે જ રીતે આ પૂજા પણ કરવામાં આવે છે. એક કળશ સજાવી તેના પર શ્વેત રંગની રેશમી સાડીનો શણગાર કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. વરલક્ષ્મીને અલગ અલગ પ્રકારના સુગંધિત ફૂલો, મિઠાઈ અર્પણ કરવામાં આવે છે.
પૂજા મુહૂર્ત
વરલક્ષ્મી વ્રતની પૂજા સ્થિર લગ્નમાં કરવી શુભ મનાય છે. 4 ઓગસ્ટ 2017ના પ્રમુખ મુહૂર્ત
- સિંહ લગ્ન: સવારે 7.13 થી 9.21 સુધી
- વૃશ્ચિક લગ્ન: બપોરે 1.39 થી 3.53 સુધી
- કુંભ લગ્ન: સાંજે 7.49 થી 9.25 સુધી
- વૃષભ લગ્ન: મધ્યરાત્રી 12.43 થી 2.43 સુધી