Akshaya tritiya 2018: અક્ષય તૃતિયાના દિવસે છોડ વાવવાથી થાય છે અક્ષય શુભફળની પ્રાપ્તિ
હિંદુ ધર્મમાં પ્રકૃતિને દેવ માનવામાં આવે છે અને ઝાડ-પાનની પૂજા કરવામાં આવે છે. જેથી દરેક ગ્રહો અને નક્ષત્રો સાથે એક એક ઝાડને જોડી દેવામાં આવ્યુ છે.
હિંદુ ધર્મમાં પ્રકૃતિને દેવ માનવામાં આવે છે અને ઝાડ-પાનની પૂજા કરવામાં આવે છે. જેથી દરેક ગ્રહો અને નક્ષત્રો સાથે એક એક ઝાડને જોડી દેવામાં આવ્યુ છે. જે-તે ગ્રહને લગતા ઝાડની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ થાય છે. આ છોડ કે વૃક્ષ લગાવાથી તમામ દોષમાંથી મુક્તિ મળે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં સૌથી પૂજનીય અને ત્વરિત ફળ આપનારી અક્ષય તૃતિયાનો દિવસ અત્યંત ફળદાયી મનાય છે. એવું કહેવાય છે કે આ દિવસે વાવેલુ વૃક્ષ જેમ જેમ વધે છે તેમ તેમ તેને વાવનાર વ્યકિતની ઉન્નતિ થાય છે. આ દિવસે ધન-સંપદાને વધારવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. તેમાંનો એક ઉપાય છે વૃક્ષો વાવવા.
જો તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ છે, આર્થિક મુશ્કેલી સાથે તમે શારીરિક-માનસિક રીતે બિમાર છો, આવકના પર્યાપ્ત સાધનો નથી તો અક્ષય તૃતિયાના દિવસે અનેક મુશ્કેલીઓના નિવારણ માટે વૃક્ષારોપણ કરી તમારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો.
પીપળો
જીવનમાં સ્થાયી સંપતિનો અભાવ છે, આર્થિક મુશ્કેલી રહ્યા કરે છે. લગ્ન લાયક પાર્ટનર મળતુ નથી કે લગ્નમાં અડચણો આવી રહી છે તો અક્ષય તૃતિયાના દિવસે શુદ્ધ જળથી સ્નાન કર્યા બાદ તમારા ઘરમાં કુંડામાં કે બગીચામાં પીપળો વાવો અને તેને નિયમતિ જળ ચઢાવો. દરેક અમાસના દિવસે તેમાં કાચુ દૂધ, પાણી અને મિશ્રી અર્પિત કરો. તેનાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે.
શમીનું ઝાડ
અક્ષય તૃતિયાના દિવસે શમીનું ઝાડ રોપવું અત્યંત શુભ મનાય છે. તેને લગાવવાથી અનેક ગણું શુભફળ મળે છે. શમીના ઝાડથી શનિ ગ્રહનો દોષ દૂર થાય છે. જો જન્મ કુંડળીમાં પિતૃદોષ કે કાલસર્પ દોષ છે તો શમીનું ઝાડ લગાવાથી આ દોષ ખતમ થાય છે. જે લોકોને શનિની સાડાસાતી કે શનિની ઢૈયા ચાલી રહી છે તેઓ શમીનું ઝાડ જરૂર લગાવે.
તુલસીનો છોડ
તુલસીનો છોડ વાવવા માટે અક્ષય તૃતિયા ઉત્તમ દિવસ છે. તુલસી વાવવાથી કૌટુંબિક સુખમાં વધારો થાય છે. તનાવમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડથી અક્ષય સંપદાની પ્રાપ્તિ થાય છે. સાથે જ નવગ્રહોની પીડા દૂર થાય છે. તુલસીનો છોડ લગાવ્યા બાદ નિયમિત જળથી સિંચન કરો. સાંજના સમયે તેને દિવો કરો.
બીલીનું ઝાડ
બીલી પત્ર શિવનું પ્રિય છે. અક્ષય તૃતિયાના દિવસે તેનું ઝાડ રોપી નિયમિત ચિંતન કરવાથી શિવ પ્રસન્ન થાય છે. જે ઘરમાં બીલી પત્રના છોડની સેવા થાય છે. તેમને કોઈ બિમારીઓ થતી નથી. મૃત્યુનો ભય ટળે છે. ઝેરીલા જંતુઓ ઘરથી દૂર રહે છે. શિવની કૃપાથી ઘરમાં કોઈ કમી આવતી નથી.