જાણો આપણા દેશમાં શા માટે કરવામાં આવે છે નાગની પૂજા?
શ્રાવણ વદ પાંચમના થાય છે નાગદેવની પુજા. ભગવાન શંકર અને વિષ્ણુએ આપ્યુ છે નાગદેવને વિશેષ સ્થાન.
શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી. આ વર્ષે 12મી ઓગસ્ટે નાગપંચમી ઉજવાશે. શ્રાવણ માસમાં આ પર્વની ઘણી માન્યતાઓ છે. આ વ્રતમાં નાગની પુજા કરવમાં આવે છે. હિંદુ ધર્મમાં નાગને દેવતા ગણવામાં આવે છે આથી આ દિવસનું મહત્વ ઘણું છે. તો આવો જાણીએ આ તહેવાર વિશેની ખાસ વાતો..

શ્રાવણ વદ પાંચમ
હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ માસની વદ પાંચમે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવ એટલે કે સાપની પૂજા કરવામાં આવે છે. હિંદુ પરંપરા પ્રમાણે આ દિવસે નાગ દેવને દૂઘ પીવડાવામાં આવે છે. ભારતના અનેક ભાગોમાં આ દિવસે કુસ્તીનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આ દિવસે જનાવરોને નદી-સ્નાન કરાવામાં આવે છે.

શિવના ગળાનું આભુષણ
ભગવાન શંકરના આભુષણો વિશે જો વાત કરવામાં આવે તો તેમાં ત્રિશુંલ, ડમરુ, રુદ્રાક્ષ અને નાગ છે. આ તમામ આભુષણમાંથી નાગદેવ ભગવાનને વધુ પ્રિય છે. તેથી ભગવાન શંકરે તેને ગળાનું આભુષણ બનાવ્યું છે, જેને કારણે તેની પૂજાનું મહત્વ છે. વેદ અને પૂરાણોમાં નાગનો ઉદગમ મહર્ષિ કશ્યપ અને તેમની પત્ની કદ્રૂ દ્વારા થયાનું મનાય છે.

શેષનાગની શૈય્યા
ભગવાન શંકર જ નહી, પરંતુ ભગવાન વિષ્ણુએ પણ નાગદેવને આસન તરીકેનુ સ્થાન આપ્યુ છે. વિષ્ણુએ શૈષનાગને પોતાની શૈયા તરીકે સ્થાન આપતા તેનુ મહત્વ વધારે છે. ભગવાન વિષ્ણુની શૈય્યા શેષનાગ પર રહેવાને કારણે પણ નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પૂજનારા તેમના આસન શેષનાગની પણ જરૂર પૂજા કરે છે.

કૃષિ સંપદાનો રક્ષક
નાગ આપણા ખેતરમાં રહેલા પાકને કીટનાશકોથી બચાવે છે. ખેતરમાં રહેતા ઉંદરો, કીડાઓ કે જેઓ ખેતીને નુકશાન કરે છે તેને ખાઈ સાપ ખેડુતના પાકને બચાવે છે, આમ જોતા એક રીતે સાપ ખેડુતનો મિત્ર ગણાવી શકાય. આ માટે પણ આપણે ત્યાં સાપની પૂજા કરવાની જૂની પરંપરા છે.

પૂજાની રીત
- ઓમ નમઃશિવાય અને મહામૃત્યુંજય મંત્રનો સવાર-સાંજ જાપ કરવો જોઈએ.
- સવારે વહેલા ઉઠી ન્હાઈ-ધોઈ ચોખ્ખા વસ્ત્રો ધારણ કરવા. પૂજા માટે સેવૈયા, ચોખાની ખીર બનાવવી.
- ઘરની દિવાલ પર ગેરુ લગાવી પૂજાનું સ્થાન બનાવો. તેના પર કાચા દૂધમાં કોલસો ઘસી ગેરુ વાળી દિવાલ પર નાગદેવની આકૃતિ બનાવો.
- કેટલીક જગ્યાઓ પર સોના, ચાંદી અને લાકડાની કલમથી હળદર અને ચંદનની સહિ વડે મુખ્ય દરવાજે બંને બાજુ પાંચ 2 ફેણ વાળા નાગદેવતાનું ચિત્ર બનાવામાં આવે છે.
- ત્યારબાદ દિવાલ પર બનેલા નાગદેવતાને દહીં, દૂર્વા, ચોખા, સેવૈયા અને ફૂલો અને ચંદનથી પૂજન કરવું.












Click it and Unblock the Notifications
