શ્રાવણ મહિનામાં આ ત્રણ શાકાહારી વસ્તુઓ ખાવાનું ટાળો
શ્રાવણ માસ દરમિયાન શિવપુરાણમાં આપેલા નિયમો અને અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ. આ સમયે માંસ, દારૂનો ત્યાગ કરવો જોઈએ.
શ્રાવણ માસ ભગવાન શિવને પ્રિય છે. આ માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ દરમિયાન શિવપુરાણમાં આપેલા નિયમોનું અને અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ. આ સમયે દરમિયાન માંસ, દારૂ જેવા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત વેર ભાવના અને નકારાત્મક વિચારોને પોતાના મનમાંથી કાઢી નાખવા જોઈએ. આપણા રોજીંદા ખોરાકમાં પણ એવી ઘણી વસ્તુઓ છે. જેનો શ્રાવણ માસમાં ઉપયોગ ન કરવો જોઈએ. અમે આજે તમને જણાવીશું કે માંસાહાર સાથે એવા કેટલાક શાકાહારી ખાદ્યપદાર્થો પણ છે, જેનો શ્રાવણ માસ દરમિયાન ત્યાગ કરવો જોઈએ.
રીંગણ
આ કોઈ અંધવિશ્વાસ નથી. આ ઋતુમાં રીંગણ ન ખાવા માટેનું એક વાસ્તવિક કારણ એ છે કે, અન્ય ઋતુઓની સરખામણીએ વરસાદની ઋતુમાં રીંગણમાં કીડા લાગી ગયેલા હોય છે. જેને કારણે તે આરોગ્ય માટે હાનિકારક બની જાય છે. આવા શાકભાજી ખાવાથી પેટમાં સંક્રમણ વધી શકે છે. પરિણામે આ ઋતુમાં રીંગણ ખાવાથી બચવું જોઈએ.
દૂધથી બનેલી ચીજો
વરસાદની ઋતુમાં દૂધથી બનેલી વસ્તુઓ વાયુ તત્વને વધારે છે. જો આવી ઋતુમાં આપણે દૂધ, દહીં અને પનીરથી બનેલી ચીજોનું સેવન કરીશું તો તેનાથી આપણા શરીરની સમતુલા ખોરવાય છે, તેના બદલે આપણે આ વસ્તુઓ શિવજીને ધરાવવી જોઈએ અને આરોગ્ય સારુ રહે તે માટે આવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. તેનો ફાયદો એ થાય છે કે આરોગ્ય સારુ રહેવા છે અને તમે શિવના ધ્યાનમાં લીન થઈ શકો છો.
લીલા શાકભાજી
આમ તો લીલા શાકભાજીમાં ભરપૂર પોષકતત્વો હોય છે, પણ વરસાદી મોસમમાં લીલાપાન વાળા શાકભાજી ખાવાથી દૂર રહેવું જોઈએ. વરસાદમાં લીલા શાકભાજી ન ખાવા પાછળ મુખ્ય કારણ એ છે કે આ ઋતુમાં સૂર્ય પ્રકાશ ન પહોંચવાને કારણે તેના પાન પર કીટાણુંઓ અને બેક્ટેરીયાનો વાસ વધી જાય છે. શ્રાવણ માસ એ શીવ આરાધનાનો સમય છે, જેમાં આવી વસ્તુઓ ખાવી નહિં. તેનાથી તમારુ આરોગ્ય જોખમાઈ શકે છે. અંતે એટલું જ કે આ શાકાહારી વસ્તુઓનો ત્યાગ કરવા પાછળનો એકમાત્ર હેતુ આરોગ્યની સંભાળ કરી શકાય.
માંસ
શ્રાવણ મહિનો એ પવિત્ર મહિનો ગણાય છે. સમગ્ર માસ દરમિયાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે. ભક્તો આખો માસ શિવની સ્તુતિ કરે છે અને શિવભક્તિમાં જ લીન રહે છે. પરિણામે એવું મનાય છે કે, આ માસ પુણ્ય કમાવવાનો છે નહિં કે પાપ કરવાનો. શિવને ખુશ કરી તમે પોતાની તમામ ઈચ્છાઓની પુર્ણ કરી શકો છો. આ સમય શિવનું ધ્યાન ધરવાનો છે, પરિણામે આ સમયે જીવ હત્યાનું મોટુ પાપ લેવું નહિં. આ કારણથી પવિત્ર શ્રાવણ માસમાં માંસાહારનો ત્યાગ કરવો જોઈએ.
દારૂનું સેવન
શ્રાવણ માસ દરમિયાન બને તેટલી શિવની સ્તુતિ કરવી જોઈએ. દરેક વ્યકિતએ પોતાની તમામ ખોટી આદતોનો ત્યાગ કરી આ સમયે શિવને ભજી પુણ્ય કમાઈ લેવું જોઈએ. દારૂના સેવનને શાસ્ત્રોમાં કુટેવ માનવામાં આવી છે. માંસાહાર અને દારૂના સેવન કરનારને અનેક ગણું પાપ લાગે છે. જેથી બને તેટલું આ પવિત્ર માસમાં દારૂનું સેવન ટાળવું.