વિષ્ણુ પુરાણ પ્રમાણે જમતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન
વિષ્ણુ પુરાણ પ્રમાણે જાણો જમતી વખતે ધ્યાનમાં રખાતી ખાસ બાબતો જેના દ્વારા તમે મેળવી શકો છો અનેક લાભ.
જ્યારે આપણે ઘરે મોટા વડીલો સાથે જમવા બેસીએ છીએ ત્યારે તેમના દ્વારા આપણને જમવા સાથે જોડાયેલી અનેક વાતો જાણવા મળે છે. આવી વાતો માત્ર વડીલો દ્વારા જ કહેવાઈ છે, એવું નથી. આપણા પુરાણોમાં પણ જમવાની આદતો અને તે સમયે ધ્યાનમાં રખવાની બાબતો વિશે ઘણું કહેવાયું છે. જમતી વખતે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે લાંબા સમય સુધી શક્તિશાળી અને નીરોગી રહી શકીએ છીએ.
વિષ્ણુ પુરાણમાં પણ આ અંગે કેટલીક ખાસ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખવાથી આપણને ઘણો ફાયદો થઈ શકે છે. જમવાનો સમય એક એવો સમય છે, જે વખતે ઘરના તમામ સભ્યો ભેગા થતા હોય અને એકબીજાને સાંભળી શકતા હોય અને પોતાના વિચારો રજૂ કરી શકતા હોય. બાકીના સમયમાં તો બધા જ પોત પોતાની જંજાળમાં પડ્યા હોય છે. આજે અમે તમને જમતી વખતે ધ્યાનમાં રખાતી કેટલીક ખાસ વાતો વિશે જણાવીશું, જેનો અમલ કરવાથી તમે આખું વર્ષ ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત કરી શકો છો.
પહેલા હલકો અને ત્યારબાદ ભારે ખોરાક
જમવાની શરૂઆત તરલ પદાર્થો એટલે કે દ્રવ્યથી કરવી જોઈએ. તરલ પદાર્થો જેવા કે સૂપ. ત્યારબાદ ચાવી શકાય તેવો ખોરાક ગ્રહણ કરવો. અંતે પણ તરલ પદાર્થો જેમ કે ખીર જેવો ખોરાક લેવો. જમણવાર લેવાનો આ એક સામાન્ય નિયમ છે, તમે એક પછી એક એટલે કે હલકાથી ભારે ખોરાક તરફ જાવ તે જમવાની યોગ્ય રીત છે.
જમતા પહેલા ઈષ્ટ દેવોને યાદ કરો
હંમેશા જમતા પહેલા તમારા ઈષ્ટદેવનું ધ્યાન જરૂર કરો. તેની સાથે અન્નપૂર્ણા માતાને ભોજનમાંથી શક્તિ અને આરોગ્ય પ્રદાન કરવાની પ્રાથના કરો અને તમને મળેલા અન્ન માટે હંમેશા ભગવાનનો આભાર માનો.
ઉત્તર કે પૂર્વ દિશાએ મોઢું રાખી જમવું
જમવાની શરૂઆતમાં ઓછામાં ઓછા પાંચ કોળિયાં બિલકુલ શાંતિથી ગ્રહણ કરવા જોઈએ. જ્યારે પણ જમવા બેસો ત્યારે ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને જ જમવા બેસો. આમ કરવાથી તમે જે ભોજન કરી રહ્યા છો તેનો પૂરો લાભ શરીરને મળે છે અને ઉત્તમ આરોગ્ય પ્રદાન થાય છે.
સાંજના સમયે જમવું નહિં
હંમેશા સાંજના સમયે ભૂખ લાગે તો જમવાનું ટાળવું જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ તે યોગ્ય નથી. તેમ છતાં જો બહુ ભૂખ લાગી હોય તો તમે ફળોનું સેવન કરી શકો છો અને ત્યારબાદ રાત્રી ભોજન લઈ શકો છો. હંમેશા ઘરના તમામ સભ્યોએ સાથે બેસીને જમવું જોઈએ. ઉપરાંત ઉભા-ઉભા અથવા ખુરશી પર બેસીને જમવા કરતા જમીન પર પલાઠી વાળીને જમવું વધુ યોગ્ય છે.
ભોજનમાં ક્યારેય ખામી કાઢવી નહિં
ક્યારેય પણ ભોજન તમારી પસંદનું હોય કે ન હોય, પણ જે સામે ધરવામાં આવે તેને પૂરાં આદરથી ગ્રહણ કરી લેવું જોઈએ. ક્યારેય પણ ભોજનમાં ખામીઓ શોધવી નહિં કે બનાવનાર સામે ભોજનની ટીકા કરવી નહિં. ઉપરાંત જ્યારે પણ જમવા બેસો ત્યારે હંમેશા તમારા હાથ-પગને સ્વચ્છ પાણીથી ધોયા બાદ જ ભોજન ગ્રહણ કરવા બેસવું જોઈએ.