બજેટ 2019 અસરઃ વધારે લાઈટ બિલ પણ મુસીબત ઉભી કરશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં શુક્વારે બજેટ રજૂ કર્યું હતું.આ દિવસે મોટા ભાગના લોકોને બજેટ વિશે વધુ ખ્યાલ નહોતો આવ્યો.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં શુક્વારે બજેટ રજૂ કર્યું હતું.આ દિવસે મોટા ભાગના લોકોને બજેટ વિશે વધુ ખ્યાલ નહોતો આવ્યો. જેટલું સમજાયું એ પ્રમામે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત એક બેન્ક ખાતામાંથી જો એક વર્ષમાં 1 કરોડથી વધુનો ઉપાડ કર્યો તો 2 ટકા ટેક્સ આપવો પડશે. આટલી વાત સમજાઈ હતી. પરંતુ હવે ધીરે ધીરે બજેટ અંગે નવી વાતો સામે આવી રહી છે. બજેટ 2019માં કેટલાક એવા પ્રસ્તાવ છે, જે લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. મોદી સરકારે આ પ્રસ્તાવ કાળુ નાણુ પાછુ લાવવા માટે મૂક્યા છે. પરંતુ તેની અસર ઘણા લોકો પર પડશે. આ બજેટ પ્રસ્તાવ અંતર્ગત જો તમારી આવક વાર્ષિક 5 લાખ કરતા ઓછી છે તો પણ તમારે ઈન્કમટેક્સ રિટર્ન ભરવું પડી શકે છે. આ માટે સરકારે એવા પ્રસ્તાવ મૂક્યા છે, જેનાથી બચવું મુશ્કેલ થઈ જશે. ચાલો જાણીએ કે બજેટમાં આ કયા પ્રસ્તાવ છે, જેનાથી તમારા પર અસર પડી શકે છે.
આ પણ વાંચો: હવે માત્ર 59 મિનિટમાં મળી જશે 1 કરોડ સુધીની લોન, જાણો આગળ
નાણા વિધેયક 2019માં છે આ જોગવાઈ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા નાણા વિધેયક 2019માં ઈન્કમટેક્સ ચોરી અટકાવવા માટે અને ટેક્સની આવક વધારવા માટે ઘણા પ્રસ્તાવ મૂક્યા છે. બજેટ સાથે રજૂ થયેલા નાણા વિધેયક (બે) 2019માં આવકવેરા અધિનિયમની કલમ 139 અંતર્ગત ઘણા સંશોધન રજૂ કરવામાં આવ્યા છે. જે મુજબ કેટલીક જગ્યાએ એક નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો તો તમારે આવકવેરા રિટર્ન ભરવું પડશે.
વધુ બિલ પર આ ઝટકો
બજેટની સાથે સાથે રજૂ થયેલા નાણા વિધેયક (2) 2019માં આવકવેરા અધિનિયમની કલમ 139 અંતર્ગત સંશોધનના પ્રસ્તાવ પ્રમાણે જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં કોઈ બેન્કિંગ કંપની કે સહકારી બેન્કમાં એક કે એકથી વધુ ચાલુ ખાતામાંથી 1 કરોડથી વધુની રકમ જમા કરાવે તો તેણે ઈન્કમટેક્સ રિટર્ન અનિવાર્ય રીતે ભરવું પડશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાની કે બીજાની વિદેશ યાત્રા પર 2 લાખથી વધુનો ખર્ચ કરે તો પણ આવકવેરા રિટર્ન ભરવું પડશે. આ ઉપરાંત કોઈ વ્યક્તિએ વીજબિલ માટે એક વર્ષમાં લાખથી વધુનો ખર્ચ કર્યો તો તેમણે પણ આવકવેરા રિટર્ન ભરવું પડશે. આ ત્રણ બજેટ પ્રસ્તાવમાંથી જે કોઈ વ્યક્તિને એકાદ પણ લાગુ પડે તો તેમણે આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.
આગામી વર્ષથી લાગુ થશે આ સંશોધન
એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આવકવેરા અધિનિયમની કલ 54 અંતરગ્ત લાંબા ગાળાના લાભ પર ટેક્સની છૂટનો દાવો કરે તો તેણે આવકવેરા રિટર્ન ભરવું જરૂરી છે. હાલ આવો કોઈ નિયમ નથી. હાલમાં મકાનથી થતા લાભ, કેટલાક બોન્ડ અને પ્રોપર્ટીમાં રોકાણ પર લાંબા ગાળાનો લાભ લેવો હોય તો આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા વગર પણ ટેક્સમાં છૂટ મળી શકે છે. નાણા વિધેયકનું આ સંશોધન 1 એપ્રિલ 2020થી લાગુ થશે.
1 કરોડથી વધુનો ઉપાડ તો ચૂકવવો પડશે ટેક્સ
બજેટ 2019માં રોકડની લેવડદેવડ ઘટાડવા માટે એક નવો ટેક્સ લગાવાયો છે. જે માટે આવકવેરા અધિનિયમ અંતર્ગત નવી કલમ 194N જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિ બેન્ક કે સહકારી બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં એક વર્ષમાં 1 કરોડથી વધુની રોકડ ઉપાડે છે તો તેણે 2 ટકા સ્રોત પર ટીડીએસ આપવો પડશે. આ જોગવાઈ સરકાર, બેન્કિંગ કંપની, બેન્કિંગ કાર્ય કરતી સહકારી સમિતિ, પોસ્ટ ઓફિસ, બને્કિંગ પ્રતિનિધિ અને વ્હાઈટ લેબલ એટીએમ ચલાવતી કંપનીઓ પર લાગુ નહીં થાય.