Digital Rupee કાલે લૉન્ચ થશે, જાણો તેનો ઉદ્દેશ્ય, ફાયદો અને નુકસાન
બ્લૉકચેન આધારિત Digital Rupeeને બે પ્રકારે લૉન્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી. જે અંતર્ગત એક નવેમ્બરે હોલશેલ ટ્રાન્જેક્શન માટે પહેલો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને બીજો રિટેલમાં સામાન્ય પબ્લિક માટે એક ડિસેમ્
ગજવામાં રોકડા રાખવાની વાત હવે જૂના જમાનાની થઈ ગઈ છે. દેશમાં ડિજિટલ રૂપિયો આવવામાં હવે માત્ર એક દિવસ જ બાકી છે. ભારતીય રિઝર્વ બેંકે 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયાને લૉન્ચ કરવાનું એલાન કરી દીધું છે, જે રિટેલ ડિજિટલ કરન્સી માટે પાયલટ પ્રોજેક્ટ હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો? તેના ફાયદા-નુકસાન શું છે? તો અહીં તમને Digital Rupee વિશે સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.
રિટેલ ઉપયોગ માટે લૉન્ચ થશે
1 નવેમ્બર 2022ના રોજ કેન્દ્રીય બેંકે હોલસેલ ટ્રાંજેક્શન માટે ડિજિટલ રૂપિયો લૉન્ચ કર્યો હતો અને હવે સેંટ્રલ બેંક આ ડિજિટલ કરન્સીને રિટેલ ઉપયોગ માટે રજૂ કરવા જઈ રહી છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ, આરબીઆઈએ કહ્યું કે રિટેલ ડિજિટલ રૂપિયાના પાયલટ પ્રોજેક્ટ દરમિયાન તેના ડિસ્ટ્રીબ્યૂશન અને ઉપયોગની પૂરી પ્રક્રિયા ટેસ્ટિંગમાં હશે. શરૂઆતમાં તેનું રોલઆઉટ પસંદિત સ્થળો માટે જ કરવામાં આવશે.
E-Rupeeનો ઉપયોગ આવી રીતે કરી શકો
RBI તરફથી અગાઉ આ મામલે જાણકારી શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે CBDC પેમેન્ટનું એક માધ્યમ હશે, જે તમામ નાગરિક, બિઝનેસ, સરકાર અને અન્ય માટે એક લીગલ ટેંડર હશે. જેની વેલ્યૂ સેફ સ્ટોર વાળા લીગલ ટેંડર નોટ (અત્યારની કરન્સી) બરાબર જ હશે. દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી (E-Rupee) આવ્યા બાદ ખીસ્સામાં રોકડા રાખવાની જરૂરિયાત ખતમ થઈ જશે.
કરન્સી નોટનું ડિજિટલ સ્વરૂપ
E-Rupee એક ડિજિટલ ટોકન અંતર્ગત જ કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો CBDC આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવનાર કરન્સી નોટનું ડિજિટલ સ્વરૂપ જ છે. જેનો ઉપયોગ કરન્સીની જેમ જ લેણ-દેણ માટે થઈ શકે છે. RBI મુજબ, ઈ-રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેંકો દ્વારા થશે. ડિજિટલ વૉલેટના માધ્યમથી વ્યક્તિથી વ્યક્તિ અથવા વ્યક્તિથી મર્ચન્ટ વચ્ચે લેણદેણ કરી શકાય છે. મોબાઈલ વોલેટ દ્વારા ડિજિટલ રૂપિયાથી લેણ-દેણ કરી શકશો. ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ તેનું પેમેન્ટ કરી શકાય છે.
E-Rupeeના ફાયદા
- ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદગાર
- લોકોને ખીસ્સામાં રોકડા રાખવાની જરૂરત નહીં પડે
- મોબાઈલ વોલેટની જેમ જ પેમેન્ટ કરવાની સુવિધા હશે
- ડિજિટલ રૂપિયાને બેંક મની અને કેશમાં આસાનીથી કન્વર્ટ કરી શકાશે
- વિદેશોમાં પૈસા મોકલવા પર ચાર્જ ઓછો લાગશે
- ઈ-રૂપી ઈન્ટરનેટ કનેક્શન વિના પણ કામ કરશે
- ઈ-રૂપીની વેલ્યૂ અત્યારની કરન્સી બરાબર જ હશે
ડિજિટલ કરન્સીના ફાયદા અને નુકસાન
રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી E-Rupeeના નુકસાન વિશે વાત કરીએ તો તેનું એક મોટું નુકસાન એ હોય શકે કે તેનાથી પૈસાની લેણ-દેણ સંબંધિત પ્રાઈવસી લગભગ ખતમ થઈ જશે. સામાન્ય રીતે કેશમાં લેણ-દેણ કરવાથી ઓળખ ગુપ્ત રહેતી હતી, પરંતુ ડિજિટલ ટ્રાન્જેક્શન પર સરકારની નજર રહેશે. આ ઉપરાંત ઈ-રૂપી પર કોઈ વ્યાજ નહીં મળે. RBI મુજબ જો ડિજિટલ રૂપિયા પર વ્યાજ આપવાથી કરન્સી માર્કેટમાં અસ્થિરતા આવી શકે છે. જે કારણે લોકો પોતાના સેવિંગ્સ અકાઉન્ટમાંથી પૈસા કાઢીને તેને ડિજિટલ કરન્સીમાં બદલવા શરૂ કરી દેશે.
E-Rupee લાવવાનો ઉદ્દેશ્ય
CBDC કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ મુદ્રા નોટોનું એક ડિજિટલ રૂપ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી બ્લૉક ચેન આધારિત ડિજિટલ રૂપિયો રજૂ કરવાનું એલાન કર્યું હતું. ગત દિવસોમાં કેન્દ્રીય બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે RBI ડિજિટલ રૂપિયાનો ઉદ્દેશ્ય હાલના રૂપિયાને બદલવાને બદલે ડિજિટલ કરન્સીને તેનો પૂરક બનાવવા અને ઉપયોગકર્તાઓને ચૂકવણી માટે વધુ એક વિકલ્પ આપવાનો છે.