બેંકમાં હજી પણ છે નોટોની તંગી, એટીએમ કેમ લટકે હજી પાટિયા?
બેંકમાં છે રોકડની અછત. ગામડાંમાં આ છે મોટી મુશ્કેલી. જાણો શું છે કારણ.
નોટબંધી પછી પણ તમે આજે પણ કોઇ એટીએમમાં જાવ છો તો કેશ નથી તેવા પાટિયા બહાર લાગ્યા હોય છે. ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે તેવી અનેક બેંક છે જે કેશની તીવ્ર તંગી અનુભવે છે. એટીએમમાં કેશના હોય તે વાત છોડો બેંકની પણ કેશ મામલે સ્થિતિ આવી જ કફોડી છે. રોકડની અછત સ્થાનિક સ્તરે હાલના સમયમાં વધી છે. જેણે ફરી નોટબંધીની હાલાકી યાદ કરાવી છે. નોંધનીય છે કે હજી પણ ખાલી 60 ટકા જેટલા જ એટીએમ મશીનો કાર્યરત છે. જેની પાછળનું કારણ છે રોકડ રકમની તંગી. સુત્રોથી મળતી માહિતી મુજબ નવા વર્ષમાં ચલણી નોટોના સપ્લાયમાં સુધારો થાય તેવી સંભાવના છે પણ તે પણ પૂરતો નહીં હોય તેવું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે એટીએમ મશીનોમાં 30 લાખ જેવી રકમ ભરી શકાય છે. પણ અનેક એટીએમમાં તેટલી પણ રકમ નથી ભરવામાં આવતી. તેનાથી અડધી કે ઓછી જ રકમ ભરવામાં આવે છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ છે રોકડ રકમ એટલે કે કેશની તંગી. એટલું જ નહીં અનેક એટીએમમાં 10 લાખથી પણ ઓછી રકમ ભરવામાં આવે છે તેવી માહિતી સુત્રો પાસેથી મળી છે. વળી તેમાં પણ 100 રૂપિયાની નોટનો લોડ ભાગ્યે જ આવે છે. જે પણ એક મોટી મુશ્કેલી છે. જેના કારણે સામાન્ય નાગરિકને છૂટા કરાવવામાં ભારે મુશ્કેલી ઊભી થાય છે. આમ પણ નોટબંધી પછી લોકો છૂટા આપવા મામલે કંઇક વધુ પડતી જ કચકચ કરતા જોવા મળે છે. જેનું મૂળ કારણ છે કે લોકો પાસે પણ એટીએમ ના ચાલતા હોવાથી કેશની તંગી છે. સૌથી વધુ અસર નાના વેપારીઓને થઇ રહી છે. અને ગ્રામીણ લોકો પણ આ મુશ્કેલીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુત્રોથી પ્રાપ્ત માહિતી દેશભરમાં રોકડની ગંભીર અછત ઊભી થઇ છે. જે એક ચિંતાજનક વાત છે.