‘જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરતા તો તમે મુર્ખ છો'
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2013નું સ્વામી વિવેકાનંદના જન્મદિવસે સમાપન દરમિયાન વિવિધ દેશોના ડેલિગેટ્સે પોતાના અનુભવો વહેંચ્યા હતા. અમેરિકાના પ્રતિનિધિ ક્રેગ એ. રોજર્સને ગુજરાતના વિકાસને જ નહીં, પરંતુ સામાજિક જવાબદેહિતાને પણ બિરદાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, નવ સંશોધનો વિકાસના ચાલકબળ બની રહે છે અને ગુજરાતે હરિત ટેકનોલોજી, સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા કૌશલ્ય નિર્માણ જેવા અનેકવિધ ક્ષેત્રે નવસંશોધનો દ્વારા જે વિકાસ કર્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે, તેમ જણાવી તેમણે રતન ટાટાના વિધાનને સમર્થન આપ્યું હતું કે, ‘‘જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરતા તો તમે મુર્ખ છો''
સમાપન સમારંભ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સંપૂર્ણ માર્ગદર્શન અને નેતૃત્વમાં આ સમિટે તેના તમામ લક્ષ્યાંકો સંપૂર્ણ સિદ્ધ કર્યા છે. આ સમિટ નાવિન્ય, જ્ઞાન, સાતત્યપૂર્ણ વિકાસ અને યુવા સશક્તિકરણ પર કેન્દ્રીત હતી અને એ દિશામાં નક્કર પ્રવૃત્તિઓ થઇ છે.તેમણે ગત ર૦૧૧માં યોજાયેલી સમિટ સાથે ર૦૧૩ની વર્તમાન સમિટની સરખામણી કરતાં જણાવ્યું હતું કે, સમિટ અંતર્ગત ર૦૧૧માં ૬૭ જેટલી આનુષંગિક ઇવેન્ટસ યોજાઇ હતી. જયારે ર૦૧૩માં સમિટની સાથે અલગઅલગ ૧ર૭ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.