બેન્ક ડેબિટ કાર્ડ અંગેના કેટલા પ્રકારના ચાર્જ વસુલી શકે છે?
એટીએમ મશીન દ્વારા મળતી સેવાનો લાભ લેવા માટે બેન્ક ગ્રાહકોને એટીએમ કે ડેબિટ કાર્ડ આપે છે. ડેબિટ કાર્ડ દ્વારા સામાન્ય વ્યક્તિનું જીવન ખાસ્સું સરળ બની ચૂક્યુ છે.
એટીએમ મશીન દ્વારા મળતી સેવાનો લાભ લેવા માટે બેન્ક ગ્રાહકોને એટીએમ કે ડેબિટ કાર્ડ આપે છે. ડેબિટ કાર્ડ દ્વારા સામાન્ય વ્યક્તિનું જીવન ખાસ્સું સરળ બની ચૂક્યુ છે. પણ શું તમે જાણો છો કે ડેબિટ કાર્ડ દ્વારા મળતી સુવિધાઓ ફ્રીમાં નથી મળતી. જી હાં, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અનેક પ્રકારના ચાર્જ લાગે છે. આજે અમે તમને ડેબિટ કાર્ડ વિશેના કેટલાક ચાર્જીસ વિશે જણાવીશું જે બેન્ક દ્વારા વસુલવામાં આવે છે.
આ પણ વાંચો: RBI એ આપી રાહત, બંધ નહીં થાય 90 કરોડ ડેબિટ-ક્રેડિટ કાર્ડ
ડેબિટ કાર્ડ આપવાનો ચાર્જ
બેન્ક તમારી પાસેથી ડેબિટ કાર્ડ ઈશ્યુ કરવાનો વન ટાઈમ ચાર્જ કે એન્યુઅલ ચાર્જ વસુલે છે, જો કે આ ચાર્જ કેટલો હશે તે તમારી બેન્ક કે સેવિંગ અકાઉન્ટના પ્રકાર પર નિર્ભર છે. મોટા ભાગની સરકારી બેન્ક ડેબિટ કાર્ડ ફ્રી આપે છે, પરંતુ પ્રાઈવેટ બેન્ક વધુ લાભ મળી શકે તેવા
પ્રીમિયમ કાર્ડ માટે વન ટાઈમ ડેબિટ કાર્ડ ઈશ્યુ ચાર્જ વસુલી શકે છે. આ ડેબિટ કાર્ડના માધ્યમથી તમે રોજ વધુ પૈસા ઉપાડી શકો છો, સાથે જ દરેક મહિને વધુ સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
વાર્ષિક મેઈન્ટેન્સ ફી
મોટા ભાગની બેન્ક પોતાના ડેબિટ કાર્ડ યુઝર્સ પાસેથી એન્યુઅલ મેઈન્ટેન્સ ફી વસુલે છે. દાખલા તરીકે મોટા ભાગની પ્રાઈવેટ બેન્ક કે પીએસયુ બેન્ક પોતાના બેઝિક કે ક્લાસિક કાર્ડ માટે દર વર્ષે 100થી 150 રૂપિયા ચાર્જ કરે છે. તો પ્લેટિનમ કાર્ડ જેવા પ્રીમિયમ કાર્ડ માટે 500થી 700 રૂપિયાનો ચાર્જ લાગે છે. આ ચાર્જ જુદી જુદી બેન્ક અને ડેબિટ કાર્ડ યુઝર્સની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અલગ અલગ હોય છે.
એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ
અકાઉન્ટ કે ડેબિટ કાર્ડના પ્રકાર પ્રમાણે બેન્ક દર મહિને કેટલાક ટ્રાન્ઝેક્શન ફ્રી કરવાની સુવિધા આપે છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક દરેક મહિને ફ્રી લિમિટ કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર 5થી 50 રૂપિયા સુધીનો ચાર્જ પ્લસ જીએસટી વસુલે છે. આ ચાર્જ તમારી બેન્કના નિયમ, તમારી ભૌગોલિક સ્થિતિ અને બેન્ક અકાઉન્ટમાં બેલેન્સ પર આધાર રાખે છે. તમારા બેન્કના એટીએમ લેવડદેવડની મર્યાદા અને ફ્રી લિમિટ વટાવ્યા બાદ શું ચાર્જ લાગે છે તે જરૂર જાણી લો, જેથી તમારે એટીએમના ઉપયોગનો વધારાનો ચાર્જ ન ચૂકવવો પડે.
કાર્ડ રિપ્લેસમેન્ટ અને રિઈસ્યુ ફી
જો ક્યારેક તમારે તમારું ડેબિટ કાર્ડ રિપ્લેસ કરાવવાની જરૂર પડે તો બેન્ક તમારી પાસેથી કાર્ડ રિપ્લેસમેન્ટ કે રિઈસ્યુ ચાર્જ વસુલશે. પરંતુ જો તમારું કાર્ડ ડ્યુ ડેટ પ્રમાણે એક્સપાયર થઈ ગયું હોય તો બેન્ક ફ્રીમાં રિપ્લેસ કરી આપશે.
કાર્ડનો પિન ફરી જનરેટ કરવાનો ચાર્જ
તમારા ડેબિટ કાર્ડનો પિન ફરી જનરેટ કરવાનો ચાર્જ પણ લાગી શકે છે. નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગના માધ્યમથી ફરી પિન જનરેટ કરવાનો મોટા ભાગના બેન્ક ચાર્જ નથી લેતા. પરંતુ બેન્કની બ્રાન્ચ કે બીજી બેન્ક દ્વારા ફરી એટીએમ પિન જનરેટ કરવાનો વન ટાઈમ ચાર્જ લાગી શકે છે.