EPFO 8.5 ટકા કરતા વધુ વ્યાજ આપી શકે
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇપીએફઓમાંની પીએફ ડિપોઝિટ પરનો વ્યાજદર વધવાની આશા રખાય છે. તેણે જણાવ્યું હતું કે ઇપીએફઓ દ્વારા વધુ વ્યાજ ચૂકવાશે તો તેની પાસે કોઇ ખાધ કે પુરાંત નહિ રહે. ઇપીએફઓ દ્વારા 2010-11માં 9.5 ટકા, 2011-12માં 8.25 ટકા અને 2012-13માં 8.5 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું.
ઇપીએફઓની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ - સીબીટી છે. તેનું નેતૃત્વ શ્રમપ્રધાન કરી રહ્યા છે. તેના દ્વારા જ વ્યાજદર અંગે આખરી નિર્ણય લેવાય છે. ઇપીએફઓની સલાહકાર સમિતિ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટી (એફઆઇસી) દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને વ્યાજદરની ભલામણ કરાય છે. આ સમિતિની પણ નવરચના થવાની છે.
ઇપીએફઓ દ્વારા જૂનમાં જ સીબીટીની નવરચના કરાઇ હતી. વ્યાજદરને લગતી આખરી ભલામણ નાણાં મંત્રાલયની સંમતિ માટે મોકલાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએફ ડિપોઝિટ્સના ચાલુ નાણાકીય વર્ષના વ્યાજદરની જાહેરાત દિવાળી પહેલાં થવાની શક્યતા છે. અગાઉ, ઇપીએફઓ વ્યાજદરની જાહેરાત નાણાકીય વર્ષના પ્રારંભમાં કરતું હતું, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષથી તેમ નથી થતું.