ફ્યુચર ગ્રુપ અને એમેઝોન વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી માટે કરાર
નવી દિલ્હી, 13 ઓક્ટોબર : ભારતની સૌથી મોટી લિસ્ટેડ રિટેલર કંપની ફ્યુચર ગ્રુપ અને વિશ્વના સૌથી મોટા ઓનલાઇન સ્ટોર એમેઝોન વચ્ચે આજે સોમવારે વ્યુહાત્મક કરાર કરવામાં આવ્યા છે. આ કરાર સ્વાભાવિક રીતે ઓનલાઇન રિટેલ એટલે કે ઇન્ટરનેટ પર સંયુક્ત રીતે પ્રોડક્ટ્સ વેચવા માટે કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કરાર કિશોર બિયાણીના થોડા દિવસો પહેલા ઓનલાઇન માર્કેટિંગ કંપનીઓ ખાસ કરીને ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધ બાદ કરવામાં આવ્યો છે.
આ કરાર અંગે બિયાનીએ જણાવ્યું હતું કે 'અમે ડેટા શેરિંગ, કો-બ્રાન્ડિંગ, ક્રોસ-પ્રમોશન અને ભાગીદારી દ્વારા વિતરણ નેટવર્કનું શેરિંગ કરવામાં સંયુક્ત અસરકારકતા ચકાસી રહ્યા છીએ. અમે જોડાણ દ્વારા આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 6,000 કરોડનું વેચાણ કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.'
ફ્યુચર ગ્રૂપ પ્રારંભમાં પોતાના જ લેબલના 45થી વધુ એપેરલનું વેચાણ કરશે. ત્યાર બાદ હોમ, ઇલેકટ્રોનિક્સ અને ફૂડ કેટેગરીની ઇન-હાઉસ બ્રાન્ડ્સનું વેચાણ કરશે. અમેરિકામાં મુખ્યમથક ધરાવતી કંપની એમેઝોન તેના પોર્ટલ પર ઓર્ડર પૂરો કરવાની સાથે મર્ચન્ડાઇઝ માટેની કસ્ટમર સર્વિસની કામગીરી સંભાળશે.
બંને કંપનીઓ એમેઝોન અને ફ્યુચર ગ્રૂપના રિટેલ સ્ટોર્સમાં જ એક્સક્લુઝિવ ધોરણે વેચાતી વિવિધ પ્રકારની પ્રોડક્ટ કેટેગરીઓની નવી લાઇન વિકસાવશે.
નોંધનીય છે કે ફ્લિપકાર્ટના છઠ્ઠી ઓક્ટોબરના બિલિયન ડે સેલ પછી તરત જ આ સોદો થયો છે. છઠ્ઠીએ ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરવામાં આવેલા ભારે ડિસ્કાઉન્ટનો પરંપરાગત રિટેલરોએ વિરોધ કર્યો હતો. તેના લીધે તેમના પ્રાઇસિંગ પાવર પર અસર પહોંચી હોવાની તેમની દલીલ હતી.
એમેઝોન સ્થાનિક બજારમાં ટાર્ગેટ કોર્પ અને ટોય્સ આર યુ સાથે આ પ્રકારના જોડાણ કરી ચૂકી છે. પણ ઓનલાઇન સેલર તરીકે એમેઝોનનો વ્યાપ વધારે વિસ્તૃત થવાની સાથે તેણે વધારે મોટી બ્રાન્ડ્સને આકર્ષતા આ બંને રિટેલર સાથે તેના સંબંધ બગડ્યા હતા.