આ પાંચ કારણોને લીધે ATM થયા ખાલીખમ
આ વર્ષે ઉનાળામાં દેશભરમાં રોકડની પણ અછત સર્જાઈ છે. દેશભરમાં એટીએમ ખાલી કેમ થયા તેને લઈને ચર્ચાનો દોર જામ્યો છે.
ઉનાળામાં પાણીની તંગીના સમાચાર દર વર્ષે સામે આવે છે, પરંતુ આ વર્ષે ઉનાળામાં દેશભરમાં રોકડની પણ અછત સર્જાઈ છે. દેશભરમાં એટીએમ ખાલી કેમ થયા તેને લઈને ચર્ચાનો દોર જામ્યો છે. એક તરફ RBI દેશમાં યોગ્ય પ્રમાણમાં રોકડ હોવાનો દાવો કરી રહી છે, બીજી તરફ જો પાછલા કેટલાક દિવસોમાં આવેલા સમાચાર પર નજર કરીએ તો શક્ય છે કે દેશમાં રોકડની અછત થવા પાછળ કેન્દ્ર સરકારની 'મેક ઈન ઈન્ડિયા’ સ્કીમ જવાબદાર છે. જો કે ફક્ત 'મેક ઈન ઈન્ડિયા’ સ્કીમ જ નહીં, દેશમાં કૅશની કિલ્લત પાછળ અન્ય પણ કેટલાક કારણો છે.
200 રૂપિયાની નવી નોટ
જી હાં, રોકડના સંકટ પાછળ 200ની નવી નોટ પણ કારણભૂત હોઈ શકે છે. કેન્દ્ર સરકાર અને RBIનું માનવું છે કે દેશભરમાં ATMમાં 200 રૂપિયાની નવી નોટ મૂકવા માટેની ટ્રે લગાવવામાં મોડુ થયું છે. જેને પગલે ATMમાં કેશની કિલ્લત સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે 200 રૂપિયાની નોટ દેશમાં પહેલીવાર છપાઈ છે. પરિણામે હજી સુધી ATMમાં તેને મૂકવા માટેની વ્યવસ્થા નહોતી. ATM દ્વારા 200 રૂપિયાની નોટ લોકો સુધી પહોંચાડવા માટે ATMને રી કેલિબરેટ કરવા જરૂરી છે, એટલે કે 200 રૂપિયાની નોટ ATMમાં મૂકવા નવી ટ્રે લગાવવી જરૂરી હતી. જે બાદ જ લોકોને ATMમાંથી 200ની નવી નોટ મળી છે. RBI એ વાત ભારપૂર્વક કહી રહી છે કે આ ટ્રે લગાવવામાં મોડુ થવાને કારણએ કેટલાક વિસ્તારોમાં રોકડની અછત સર્જાઈ છે.
શું ખરેખર છે રોકડની અછત?
આ એક એવું સત્ય છે જે RBIના અધિકારીઓ જાતે કહેવા નથી ઈચ્છતા. આવું એટલા માટે કહી શકાય કે દેશમાં કૅશની કમી સર્જાવાની જાણકારી RBIને માર્ચ મહિનામાં જ હતી. આંધ્રપ્રદેશ સરકારે સૌથી પહેલા RBI, કેન્દ્ર સરકાર અને સ્ટેટ બેન્કને પત્ર લખીને આ મામલે ચેતવ્યા હતા, પોતાના રાજ્યમાં ATMમાં રોકડની અછત સર્જાય તે શક્યતા પણ દર્શાવી હતી. જો કે RBIએ આ મામલે કોઈ જ પગલાં ન લીધા.
નોટ છપાવાનું થયું બંધ ?
તમામ સમાચાર પોર્ટલ્સ અને એજન્સીઓએ એ પણ દાવો કર્યો હતો કે સરકારે નવેમ્બર, 2017માં જ નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. નવેમ્બરમાં જ 500 રૂપિયાની નોટ છાપવાનું પણ બંધ કરાયું હતું. જો કે નાસિક સ્થિત કરંસી નોટ પ્રેસ મુજબ પહેલેથી નક્કી કરેલી સંખ્યામાં નોટ છપાઈ ગયા બાદ જ નવી નોટ છાપવાનું બંધ કરાયું હતું.
100 રૂપિયાની નોટ છાપવાનું થયું બંધ
જો ધ્યાન આપ્યું હોય તો તમે જાણી શક્યા હશો કે માર્કેટમાં 2000, 500, 200, 50 અને 10ની નવી નોટ આવી ચૂકી છે, પરંતુ 20 અને 100ની જૂની નોટ જ ચલણમાં છે. કરંસી નોટ પ્રેસમાંથી સામે આવેલી માહિતી મુજબ 100 અને 20ની નવી નોટ માટે ડિઝાઈનને લઈ કામ ચાલી રહ્યું છે, એટલે જ 100ની જૂની નોટ હવે નથી છપાતી. તો નાસિક સ્થિત કરંસી નોટ પ્રેસમાં ફક્ત 10 અને 50ની નવી નોટ છપાઈ રહી છે. જ્યારે દેવાસ સ્થિતિ અન્ય એક કરંસી નોટ પ્રેસમાં 200 રૂપિયાની નવી નોટ છપાઈ રહી છે.
કૅશની કમી પાછળ મૅક ઈન ઈન્ડિયા જવાબદાર!
આ વાત સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે પરંતુ મુદ્દો ધ્યાન આપવા જેવો છે. પીએમ મોદીએ RBIના 80 વર્ષ પૂરા થવા નિમિત્તે કહ્યું હતું કે, ‘આપણે RBIના 80 વર્ષ થવાની ઉજવણી કરી છે. પણ શું આપણે ભારતીય કરંસી છાપવા માટે સ્વદેશી કાગળ અને સહી ન વાપરી શકીએ, હાસ્યાસ્પદ છે કે સ્વદેશીની લડાઈ લડનાર મહાત્મા ગાંધીનો ફોટો વિદેશથી આવતા કાગળ પર છપાય છે' PMના આ નિવેદન બાદ એવી વાત પણ સામે આવી હતી કે ચલણી નોટો માટે દેશમાં જ કાગળ બનાવવનું કામ શરૂ થયું છે. આ દરમિયાન RBIના ડે. ગવર્નર એસ.એસ.મુંદ્રાએ નિવેદન આપ્યું હતુ કે ‘ફેક્ટરીનું કામ હજી એડવાન્સ સ્ટેજ પર છે, અને અમને વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનામાં તે તૈયાર થઈ જશે.' તેમણે વડાપ્રધાનની વાતનું પણ સમર્થન કર્યું હતું
હવે એ વાત શક્ય છે કે દેશમાં જ ચલણી નોટ માટે જે કાગળ વિદેશથી આયાત કરાતો હતો, તેની માત્રા ઓછી કરી દેવાઈ હોય. જેને કારણે કૅશની કમી સર્જાઈ હોઈ શકે છે. આ ઉપરાંત એક શક્યતા એવી પણ છે કે દેશમાં ચલણી નોટ માટે જરૂરી કરંસી પેપર વિદેશી કાગળની ક્વોલિટી જેવો ન બની શક્યો હોય, તો પણ કૅશ છાપવામાં મોડું થયું હોય.