EMI થશે સસ્તા, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની કટૌતી કરી
EMI થશે સસ્તા, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની કટૌતી કરી
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેકે ગુરુવારે થયેલ મૉનિટરિંગ કમિટીની બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો ફેસલો લીધો છે. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ તે ઘટીને 6.25 ટકા પર આવી ગઈ છે. અગાઉ ઓગસ્ટ 2018માં રિઝર્વ બેંકે રેપો દર 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. આ દર પર તે બેંકોને એક દિવસ માટે ઉધાર આપે છે. તેના વધવાથી બેંકોના વ્યાજ પર અસર પડતી હોય છે. આ બેઠક રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આજે યોજાયેલ પહેલી મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક હતી.
લોન સસ્તી થશે
આશા સેવવામાં આવી રહી છે કે શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલ મૌદ્રીક નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કટૌતીના આ ફેસલાને પગલે લોન સસ્તી થશે.RBI ગવર્નર શક્તિકાંત દાસે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, 'વર્ષ 2019-20 માટે વૃદ્ધિ દરના લક્ષ્યને 7.4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. વર્ષ 2019-20ના પાછલા 6 મહિનામાં ફુગાવાનો દર 3.2-3.4 ટકા રહેવાનું અનુમાન છે, તથા ત્રીજા ક્વાર્ટરમાં તે 3.9 ટકા રહેવાનું અનુમાન છે. ચોથા ક્વાર્ટર માટે ફુગાવાનો લક્ષ્ય ઘટાડીને 2.8 ટકા કરવામાં આવ્યો છે. '
શું છે રેપોરેટ
બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે હંમેશા મોટી રકમની જરૂરત પડે છે. ત્યારે બેંકો કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક પાસેથી ઓવરનાઈટ લોન લેવાનો વિકલ્પ અપનાવે છે. આ લોન પર રિઝર્વ બેંકને જે વ્યાજ આપવું પડે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે સવાલ એ છે કે સામાન્ય માણસ માટે આ શું મહત્વ ધરાવે છે? તો રેપો રેટ ઘટવાથી બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી લોન લેવી સસ્તી થઈ જાય છે અને જેને પગલે બેંકો સામાન્ય નાગરિકોને આપવામાં આવતી લોનના વ્યાજમાં પણ કટૌતી કરે છે જેથી વધુમાં વધુ રકમ લોન તરીકે આપી શકાય. હવે જો રેપો રેટમાં વધારો થાય છે તો તેનો સીધો મતલબ એ થાય છે કે બેંકો માટે રિઝર્વ બેંક માટે રાતભર માટે લોન લેવી મોંઘી પડી જાય ચે. એવામાં સ્પષ્ટ છે કે બેંક નાગરિકોને આપતી લોનનું વ્યાજ પણ વધુ વસૂલશે.
શું છે રિવર્સ રેપો રેટ
જેમ કે આના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ રેપો રેટથી ઉલટું હોય છે. આ એ દર હોય છે જેના પર બેંકોને તેમના તરફથી રિઝર્વ બેંકમાં જમા ધન પર વ્યાજ મળે છે. રિવર્સ રેપો રેટ બજારમાં રોકડની તરલતાને નિયંત્રિત કરવામાં કામ આવે છે. બજારમાં જ્યારે પણ વધુ પડતી રોકડ જોવા મળે છે તો, રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટ વધારી દે છે, જેથી બેંક વધુ વ્યાજ કમાવવા માટે પોતાની રકમ તેમની પાસે જમા કરાવી દે.
સીઆરઆસ શું છે?
દેશમાં લાગુ બેંકિંગ નિયમો અંતર્ગત બેંકોએ પોતાની કુલ રોકડનો એક નિશ્ચિત ભાગ રિઝર્વ બેંક પાસે રાખવાનો હોય છે. જેને કેશ રિઝર્વ રેશ્યો (CRR) કહેવાય છે.
શું છે SLR?
જે દર પર બેંકો પોતાના પૈસા સરકાર પાસે રાખે છે, તેને એસએલઆર કહેવાય છે. રોકડની તરલતાને નિયંત્રિત કવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોમર્શિયલ બેંકોએ એક ખાસ રકમ જમા કરાવવાની હોય છે જેનો ઉપયોગ કોઈ ઈમરજેન્સી લેણ-દેણને પૂરી કરવામાં થાય છે. આરબીઆઈ જ્યારે વ્યાજ દરમાં બદલાવ કર્યા વિના જ રોકડની તરલતા ઓછી કરવા ઈચ્છે છે તો તેઓ સીઆરઆર વધારી દે છે, જેથી બેંકો પાસે લોન આપવા માટે ઓછી રકમ બચે છે.