એર ઇન્ડિયાના ખાનગીકરણની કોઇ ઇચ્છા નથી : અજિત સિંહ
નવી દિલ્હી, 7 ઓક્ટોબર : વિરોધ પક્ષે આકરી ટીકા કર્યા બાદ કેન્દ્રના ઉડ્ડયન પ્રધાન અજિત સિંહે તેમની ગઈ કાલની કમેન્ટ્સને આજે ફેરવી તોળતાં જણાવ્યું છે કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાની કોઇ ઇચ્છા નથી. તેનું ખાનગરીકરણ કરવામાં નહીં આવે. અજિત સિંહે એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે યુપીએ સરકાર રાષ્ટ્રીય એરલાઈન, એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં કરે, પણ એર ઈન્ડિયાએ તેની બરબાદીને રોકવા સારી કામગીરી બજાવવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે "એર ઈન્ડિયા પરિસ્થિતિને હળવાશથી લેવી ન જોઈએ, કારણ કે દેશમાં બીજી ઘણી નવી એરલાઈન્સ ઉડ્ડયન ક્ષેત્રે આવી રહી છે. એર ઈન્ડિયાની મેનેજમેન્ટ અને કર્મચારીઓ, બંનેએ સારી કામગીરી બજાવવી પડશે નહીં તો તેઓ બરબાદ થઈ જશે. સરકાર તો એર ઈન્ડિયાને દેવામાંથી ઉગારવા કટિબદ્ધ છે."
તેમણે ગઈ કાલે સીએનબીસી-ટીવી 18 ચેનલને એમ કહ્યું હતું કે જો રાજકીય સ્તરે સર્વસંમત્તિ સધાય તો મારું મંત્રાલય એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા તૈયાર છે. હવે સરકાર એર ઈન્ડિયાને વધારે ભંડોળ આપી શકે એમ નથી. ઉલ્લેખનીય છે કે, અબુધાબીની ઈતિહાદ એરલાઈન્સે ભારતની જેટ એરવેઝમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો છે જ્યારે એર એશિયા ટાટા ગ્રુપ સાથે મળીને ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવાની છે.
હાલ બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાએ પણ કહ્યું કે તે એમની એરલાઈનને ફરી ઉડતી કરવા કોઈક વિદેશી ઈન્વેસ્ટર સાથે વાટાઘાટ કરી રહ્યા છે.