નોકિયા ભારતમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન ઘટાડશે
નવી દિલ્હી, 20 ઓગસ્ટ : નોકિયા આ વર્ષે ભારતમાં તેના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. આગામી સમયમાં કંપની દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ટેલિફોન ઈન્સ્ટ્રુમેન્ટ સેક્ટરમાં સેમસંગ, માઈક્રોમેક્સ જેવી અન્ય કંપનીઓ આવી ગઈ હોવાથી નોકિયાને ઘણી સ્પર્ધા કરવી પડે છે અને નોકિયા તેની અમુક શરતો સાથે બાંધછોડ કરવા માટે તૈયાર ન હોવાથી આખરે નોકિયાએ તેના ઉત્પાદનમાં ઘટાડો કરવો પડે તેવા સંજોગો આવી ગયા છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી નાણાકીય વર્ષમાં નોકિયાનું ઉત્પાદન ઘટીને ચોથા ભાગનું થઈ જવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. નોકિયા તેનું મોટા ભાગનું ઉત્પાદન ચેન્નઈ પ્લાન્ટમાંથી વિયેતનામ પ્લાન્ટમાં શિફ્ટ કરી રહી હોવાથી તેના ચેન્ન્ઈ પ્લાન્ટમાં ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2014માં કંપનીનું ઉત્પાદન ચોથા ભાગનું રહી જશે. કંપનીના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીને વેચાણમાં નુકસાન થતું હોવાથી કંપની દ્વારા આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોકિયા હાલ 15 કરોડ મોબાઈલ બનાવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કંપનીને કરેલાં વચનો પણ પૂરાં કરવામાં આવ્યાં ન હોવાથી પણ કંપનીને હવે ભારતમાંથી તેનું ઉત્પાદન બંધ કરવુ પડે તેવી શક્યતા છે.
એસઈઝેડ અંતર્ગત 10 વર્ષ સુધી નિકાસ ફ્રી હોવા છતાં નોકિયા પર મેટ લગાવવામાં આવ્યો છે. ચાર ટકા વેટ અને ઝીરો ટકા કસ્ટમ ડ્યૂટીથી ગ્રે માર્કેટમાં ફોનના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. કંપની પર રૂપિયા 3000 કરોડના ટેક્સનો વિષય પણ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નોકિયા સરેરાશ 2000 કર્મચારીઓની છટણી કરે તેવી પણ શક્યતા છે.