31 માર્ચ 2014 પછી 2005 પહેલા છપાયેલી કરન્સી નહી ચાલે: RBI
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે 2005 પહેલા છપાયેલી તમામ કરન્સી નોટ 31 માર્ચ 2014 પછી બેંક દ્વારા પાછી લેવાનું અભિયાન ચલાવવામાં આવશે. એટલે કે 2005 પહેલા છપાયેલી ચલણી નોટો 31 માર્ચ 2014 પછી આરબીઆઇ દ્વારા નક્કી કરાશે તે સમય સીમા પર પસ્તી થઇ જશે.
નવ વર્ષ પહેલાની તમામ નોટ 31 માર્ચ બાદ 1 એપ્રિલથી તમારી બેંકમાં જમા કરાવીને નવી ચલણી નોટો લઇ લેવાની રહેશે. અત્રે નોંધનીય છે કે જે ચલણી નોટો પર 31 માર્ચ 2005ની તારીખ છપાયેલી હશે અથવા જે ચલણી નોટો પર કોઇ તારીખ છપાયેલી નહીં હોય તેવી ચલણી નોટોને બેંકમાં બદલી લેવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે આરબીઆઇએ હજી તો આ અંગેની જાહેરાત જ કરી છે કે 31 માર્ચ 2014 બાદ 9 વર્ષ જૂની ચલણી નોટ બદલાવી લેવાની રહેશે, બાદમાં તે નોટોને રદ કરી દેવામાં આવશે. પરંતુ આરબીઆઇએ એ તારીખની જાહેરાત નથી કરી કે 1 એપ્રિલથી કેટલા સમય સુધી આ નોટો બદલી શકાશે, અથવા કઇ તારીખથી જૂની નોટોનું ચલણ બંધ કરી દેવામાં આવશે.
આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પર અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પ્રકારની પ્રક્રિયાથી દેશમાં જે કાળુ નાણું છે તે બહાર આવશે. તેમજ રૂપિયો બજારમાં ફરતો થશે. લોકો કોઇને કોઇ ક્ષેત્રમાં રોકાણ કરતા થશે. જો તેઓ આવું નહીં કરે તો તેમનું નાણું પસ્તી બની જશે. જે લોકો ઇનકમ ટેક્સથી બચવા માટે નાણું છૂપાવીને રાખ્યું હશે તે લોકોને પણ નાણું બહાર કાઢવાની ફરજ પડશે અને ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે.