વોલમાર્ટ ભારતીય બજાર પર કલંક સમાન : ચિદમ્બરમ
ચિદમ્બરમે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વોલમાર્ટને ભારતના રિટેલ બજાર ઉપરનું કલંક ગણાવતાં કહ્યું હતું કે ભારતના રિટેલ બજારનું સંચાલન લાખો સક્ષમ સ્ટોર દ્વારા થાય છે અને ભારતના રિટેલ બજારને ભારતની જ ભારતીય રિટેલ ચેનનો પૂરતો ટેકો છે જેથી વોલમાર્ટ વગર પણ ભારતનો રિટેલ વેપાર અકબંધ રહેવાની ક્ષમતા ધરાવે છે. વોલમાર્ટની વિદાયથી ભારતના રિટેલ બજારને કોઈ ફરક પડે તેમ નથી.
નોંધનીય છે કે 9 ઑક્ટોબરે વોલમાર્ટ અને ભારતી પોતાના વેપાર અંગે સ્વતંત્ર માલિકી અને સંયુક્ત સાહસમાંથી છૂટા પડવા સંમત થયા હતા અને રિટેલ વેપારમાં પોતાના ફ્રેંચાઈઝ કરાર રદ્દ કરવા અને સ્વતંત્ર રીતે વેપાર કરવા બંને વચ્ચે સંમતિ સધાઈ હતી.
અમેરિકાના રિટેલ માંધાતા વોલમાર્ટનો આગ્રહ મલ્ટિ બ્રાન્ડ રિટેલ માટેની એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ - વિદેશી સીધા રોકાણ) નીતિ હેઠળના સ્થાનિક સ્ત્રોત અંગેના નિયમનો હળવા બનાવવા માટેનો હતો. ભારત સરકારે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્લેયરો માટે 30 ટકા ફરજિયાત સ્થાનિક સ્રોત અંગેના નિયમનો હળવા બનાવવાની કોઈ યોજના નથી.
ભારતી અને વોલમાર્ટે વર્ષ 2007૭માં હાથ મિલાવ્યા હતા (સંયુક્ત સાહસ) અને પ્રથમ "બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ કેશ ઍન્ડ કેરી સ્ટોર વર્ષ 2009ના મે મહિનામાં અમૃતસર ખાતે શરૂ કર્યો હતો. વર્તમાનમાં બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ સ્ટોર્સની સંખ્યા 20 જેવી છે અને અમૃતસર, ઝીરાકપુર, જાલંધર, કોટા, ભોપાલ, લુધિયાણા, રાયપુર, ઈંદોર, વિજયવાડા, આગ્રા, મીરત (મેરઠ), લખનઊ અને જમ્મુ ખાતે આ સ્ટોર આવેલા છે.
ટીવી સાથેની મુલાકાતનું ચિદમ્બરમે ભારતની વિદેશી હૂંડિયામણની પુરાંતને ટેકો આપવાનો નિર્દેશ કરતાં કહ્યું હતું કે અમેરિકાના ટેપરિંગ (પ્રોત્સાહનોમાં ઘટાડો કરવાના સંદર્ભમાં)ની અસરની સમસ્યા હલ કરવા ભારત પોતાના વિદેશી હૂંડિયામણને ટેકો આપવા પ્રયત્નશીલ છે, ચિદમ્બરમે ચાલુ નાણાકીય વર્ષ 2013-14ના બાકીના છ માસ (ઑક્ટોબર-માર્ચ)માં ભારતની વિકાસ પ્રક્રિયા ગતિશીલ બનવા અંગે વિશ્ર્વાસ પ્રગટ કર્યો હતો.
ચિદમ્બરમે કહ્યું હતું કે અમેરિકાનો ફેડ અધ્યક્ષ બેન બર્નાન્કે ટેપરિંગ શરૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ સાથે અમારા પ્રવાસો વિદેશી હૂંડિયામણની પુરાંત વધારવાની દિશામાં સક્રિય બનશે. વિદેશી હૂંડિયામણની પુરાંતને ટેકો આપવા ભારત શક્ય તેટલા પગલાં લઈ રહ્યું છે. એફસીએનઆરબીની સુધારેલી નીતિના અનુસંધાનમાં 7.4 અબજ ડોલરની આવક થઈ છે.
અન્ય પગલાં હેઠળ ભારતના કરારનો નિર્દેશ કરતાં ચિદમ્બરમે કહ્યું હતું કે જાપાન સાથે 50 અબજ ડોલરના સ્વેપ એગ્રિમેન્ટ અથવા વિનિમયના કરાર કરવામાં આવશે. ત્રીજું પગલું પોર્ટફોલિયો રોકાણ માટેનું છે જે હેઠળ બે અબજ ડોલરના રોકાણ થયા છે. ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેઓની ઓઈલની ખરીદી માટેના નાણાં અંગે વિદેશ ખાતેથી ઉધાર ધિરાણ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે.
ઈસીબી (એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ વિદેશી વ્યાપારી ઉધાર ધિરાણ)ના નિયમનો હળવા બનાવવામાં આવશે જેથી નાણાકીય આવક વધી શકે. ટૅલિકોમ ક્ષેત્રમાં રોકાણ માટેની દરખાસ્તથી નવેમ્બર ડિસેમ્બરમાં વિદેશી હૂંડિયમણની પુરાંતમાં વૃદ્ધિની અપેક્ષા છે. વિકાસના સંજોગો વિશે ચિદમ્બરમે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બાકીના છ મહિના (વર્ષ 2013-14ના ઑક્ટો-માર્ચ)માં વિકાસના સંજોગોમાં સુધારાની અપેક્ષા છે.