#BengaloreMolestation: જવાબદાર કોણ? પુરૂષ, મહિલા કે સમાજ?
બેંગ્લુરુ છેડખાની જેવા કિસ્સાઓમાં લોકોનો મત અલગ-અલગ હોઇ શકે, પરંતુ કોઇ પણ કારણ કે દલીલ પુરૂષોને મહિલાઓની ખુલેઆમ છેડતી કરવાની છૂટ નથી આપતું.
31 ડિસેમ્બરની રાતે બેંગ્લુરુના પોશ વિસ્તારોમાં મહિલાઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતા ફરી એક વાર સમાજમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલ ઊભો થયો છે. છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર આ જ કિસ્સો ચર્ચાય છે. ક્યાંક યુવતીઓને તેમના પહેરવેશ બદલ તો ક્યાંક પુરૂષોને અને સમાજને દોષ આપવામાં આવી રહ્યો છે. એવામાં સપા નેતા અબુ આઝમી અને કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરાએ પોતાના નિવેદનોમાં આ માટે મહિલાઓ અને યુવતીઓના પહેરવેશને દોષ આપ્યો છે.
આ કિસ્સા અંગે લોકોનો મત અલગ-અલગ હોઇ શકે, પરંતુ કોઇ પણ કારણ કે દલીલ પુરૂષોને મહિલાઓની ખુલેઆમ છેડતી કરવાની છૂટ નથી આપતું. બેંગ્લુરુ જેવા શહેરના પોશ વિસ્તારોમાં 1500 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર હોવા છતાં પણ જો આવી ઘટનાઓ બનતી હોય, તો ચોક્કસ જ સમાજે સાબદા થઇ જવાની જરૂર છે. આ ઘટના માત્ર મુંબઇ, દિલ્હી કે બેંગ્લુરુ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે જોખમરૂપ કહી શકાય.
મહિલાઓ જ દોષી કેમ?
આ ઘટના બાદ કેટલાક નેતાઓ દ્વારા એક જ સૂરે સ્ત્રીઓ અને તેમના પહેરવેશને દોષ આપ્યો છે. સમાજનો મોટો વર્ગ આવી ઘટનાઓમાં ગુનેગાર સ્ત્રીને અને તેના પશ્ચિમી પોશાકને માને છે. તેમના મતે આવી ઘટનાઓ ત્યારે જ બને છે, જ્યારે યુવતી કે મહિલા પોતે પોતાની પહેરવેશ અને સુરક્ષા અંગે પુરતી જાગૃત નથી હોતી. જાણે-અજાણ્યે આવા લોકો પીડિત યુવતીને સહાનુભૂતિ આપવાના સ્થાને તેને જ દોષીત ગણતા હોય છે. એમાં પણ બેંગ્લુરુ છેડછાડ મુદ્દે જ્યારે રાજ્યના ગૃહમંત્રી આવું નિવેદન કરે તે શરમજનક બાબત ગણાય. આવી ઘટનાઓ અંગે લોકોનો મત જુદો-જુદો હોઇ શકે છે, પરંતુ જવાબદાર હોદ્દે બેઠેલા વ્યક્તિનું પહેલું કામ દોષિતને પકડવાનું હોય છે. નહીં કે મહિલાનો દોષ નીકાળવાનું. મહિલાઓને દોષ આપીને તેમને ચુપ કરવાથી આ ઘટનાઓ અટકવાની નથી, પરંતુ હજુ વધશે.
મહિલાઓએ પણ સશક્ત થવાની જરૂર
આવી ઘટનાઓ ઘટે ત્યારે અને ત્યાર બાદ ખરી હિંમત મહિલાઓએ રાખવાની જરૂર હોય છે. આવા કિસ્સાઓમાં જોખમને અણસાર મળતા જ મહિલાઓ ક્યાં ડરીને સ્તબ્ધ થઇ જાય છે. પીડિત યુવતીઓ આવા કિસ્સાઓમાં ઘણીવાર પોતાને જ દોષ આપવા માંડે છે, પણ આવા મામલે હિંમત જાળવી રાખી લડત આપવાની જરૂર હોય છે. સમાજની રૂઢિવાદી ટિપ્પણીઓથી માંડીને આવા ઉપદ્રવી જીવોની દરેક ખોટી નજર સામે જ્યારે મહિલાઓ માથુ ઉંચકીને જવાબ આપતી થશે, ત્યારે જ આવી ઘટનાઓ કાબૂમાં આવશે. મોડર્ન વિચારો ધરાવતી અને મોડર્ન કપડા પહેરતી મહિલાઓ બોલવામાં પણ બિન્દાસ થવાની જરૂર છે, તેમની સાથે થતાં ખોટા વર્તનને ખચકાટ વિના વાચા આપવાની જરૂર છે. બેંગ્લુરુ છેડખાનીના મામલામાં ઘણા એવા કિસ્સાઓ બહાર આવ્યા છે, જ્યાં મહિલાઓએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન તો આપ્યું પરંતુ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. મહિલાઓનો આ ગભરાટ જ હુમલાખોરોને વધુ પ્રોત્સાહન આપે છે.
બદલાવ યુવકો માટે પણ જરૂરી
શારીરિક છેડખાની કે બળાત્કાર જેવી ઘટનાઓમાં પીડિત યુવતી, તેના પહેરવેશ અને તેના ચરિત્ર પર સમાજ સૌથી પહેલા આંગળી ચીંધે છે. પીડિત યુવતી મોઢું છુપાવતી ફરે છે અને ગુનેગાર છાતી કાઢી ફરતો હોય છે. આવા કિસ્સાઓમાં થોડા સમય બાદ સમાજ અને પીડિતાનો પરિવાર પણ ઘણીવાર તેને પીછેહઠ કરવાનું કહેતો હોય છે. આ રીતે તેઓ અજાણતા જ ગુનેગારનો પક્ષ ખેંચે છે. જ્યારે કે સમાજે પીડિતાને લડત લડવા માટે પ્રોત્સાહન આપી ગુનેગારના હિંમત તોડવાની જરૂર હોય છે. સારા ચરિત્રની આદર્શ મહિલાઓના વાણી, વર્તન, પહેરવેશ વગેરે માટે અનેક નિયમો લોકોના મોઢે છે, પરંતુ એ જ નિયમો અને શિષ્ટાચાર પુરૂષો માટે પણ લાગુ પાડવાની જરૂર છે. જ્યારે કોઇ યુવક યુવતીને ખરાબ નજરે જુએ તો સમાજ તરત જ યુવતીના પહેરવેશ પર આંગળી ચીંધે છે, જ્યારે ખરેખર તે એ આંગળી ખોટી નજરે જોતા યુવક તરફ ચીંધાવી જોઇએ.
સમાજની માનસિકતા
સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી સુરક્ષાની વાતો સમાજમાં માત્ર ચર્ચાનો મુદ્દો ન રહેવો જોઇએ, એના આધારે લોકોની વિચારસરણી અને વર્તનમાં પણ પરિવર્તન આવવું જરૂરી છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ પિંકને ખૂબ વાહવાહી મળી હતી, તેમાં અમિતાભ બચ્ચને ખૂબ સરસ વાક્ય કહ્યું છે, સમાજમાં સ્ત્રીઓની આસપાસ આઝાદીનો ખોટો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે કોઇ સ્ત્રી ખરેખર એ આઝાદીનો ઉપયોગ કરી સ્વાવલંબી જીવન જીવવા જાય ત્યારે સમાજ પહેલી તક મળતાં જ તેના ચરિત્ર પર આંગળી ચીંધે છે. સ્વાવલંબી સ્ત્રીઓ સમાજને અને ખાસ પુરૂષોને મૂંઝવણમાં મૂકે છે. આવી સ્ત્રીઓની હિંમતને દાદ આપવાની જગ્યાએ લોકો તેમના માટે ખોટા અભિપ્રાયો બાંધે છે અને જ્યારે તેની સાથે કોઇ ખોટો વ્યવહાર કરે કે તરત જ તેના ચરિત્ર પર પ્રશ્નાર્થ મુકાઇ જાય છે.
સારાંશ
'આજના જમાનામાં જ્યારે મહિલાઓની ડગલેને પગલે છેડતી થતી હોય ત્યારે તેણે પોતાની સુરક્ષા માટે વધુ સાવધ રહેવું જોઇએ. કહેવાય છે કે મહિલાઓએ સુરક્ષિત રહેવા માટે વિવિધ નિયમોનું પાલન કરવું જોઇએ. પરંતુ મહિલાઓએ જ શા માટે આ નિયમોનું પાલન કરવાની જરૂર ઊભી થઇ? શું આવો સમાજ મહિલાઓ માટે ખરેખર સુરક્ષિત કહી શકાય એવું વાતાવરણ ઊભુ કરવામાં ક્યારેય સફળ થશે? ક્યારેય એવું થશે ખરું કે પીડિત કે શોષિત મહિલાઓ નહીં, પરંતુ ગુનેગાર અને ગુનેગારને પોષતા સમાજની આંખમાં શરમ હોય?
અહીં વાંચો